અમદાવાદ, તા. 17 : કોરોનાની મહામારીએ સમાજજીવનમાં ઘણા બદલાવ લાવી દીધા છે અને એને પગલે ધાર્મિક તહેવારો પર પણ કોરોનાનું ગ્રહણ લાગ્યુ છે ત્યારે વિશ્વને શકિતપીઠ અંબાજીમાં આવેલા ચાચર ચોકમાં આ નવરાત્રીમાં પહેલીવાર એવું બનશે કે માઇભકતો જગદજનની અંબે માતાજીના ગરબે ઘૂમી નહીં શકે. જોકે માઇભકતો માટે થોડી રાહત એ વાતની છે કે ગાઇડલાઇન મુજબ નવરાત્રી દરમ્યાન મંદિરમાં દર્શન કરી શકાશે.જોકે બીજી તરફ પહેલી વાર અંબાજી માતાજીના મંદિરને આધુનિક લાઇટોથી શણગાર સજાવ્યા છે જેને પગલે માતાજીનું મંદિર રળિયામણું લાગી રહ્યું છે.
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના મીડીયા કો-ઓર્ડિનેટર આશિષ રાવલે કહ્યું હતું કે અંબાજી મંદિરમાં આ વર્ષે નવરાત્રીના ગરબા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઇતિહાસમાં પહેલીવાર એવું બનશે કે અંબાજી માતાના ચાચર ચોકમાં ગરબા નહીં યોજાય જોકે નવરાત્રી દરમ્યાન ભાવિકો પોતાના ઘરેથી જ આરતી અને દર્શન કરી શકે એ માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઓનલાઇન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પ્રથમ નવરાત્રીથી રપ ઓકટોબર દરમ્યાન ટ્રસ્ટની વેબસાઇટ,ફેસબુક,યુટયુબ,ટવીટર તથા લાઇવ સ્ટ્રીમીંગ સર્વર પરથી સવારે 7.30 થી 8 અને સાંજે 6.30 થી 7 વાગ્યા દરમ્યાન આરતી લાઇવ કરવામાં આવશે. ગાઇડલાઇન મુજબ દર્શનાર્થીઓ મંધ્રિમાં આવીને દર્શન કરી શકશે પરંતુ આરતી સમયે મંદિરમાં કોઇને એન્ટ્રી અપાશે નહી.
આજે સવારે અંબાજી મંદિરમાં સવારે નવરાત્રી ઘટસ્થાપન કરવામાં આવશે. મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ અને બનાસકાંઠાના જિલ્લા કલેકટર આનંદ પટેલ તેમ જ મંદિર ટ્રસ્ટના વહીવટદાર એસ.જે.ચાવડાના માર્ગદર્શનમાં અને ગાયત્રી શકિતતીર્થ,અંબાજીના સહયોગથી નવરાત્રીના 9 દિવસ દરમ્યાન વ્યસન મુકિત સંકલ્પ અભિયાન યોજાશે