– નવી દિલ્હી,તા.6.ફેબ્રુઆરી 2022 રવિવાર : 2019માં લતાજીએ પોતાના પરિવાર અને વીર સાવરકર વચ્ચેના ગાઢ સબંધોનો ઉલ્લેખ સોશિયલ મીડિયા પર કર્યો હતો.તે વખતે તેમણે કહ્યુ હતુ કે, વીર સાવરકરજી અને અમારા પરિવાર વચ્ચે બહુ ઘનિષ્ઠ સબંધો હતા.તેમણે મારા પિતાજીની નાટક કંપની માટે એક નાટક પણ લખ્યુ હતુ અને 1931માં તે પહેલી વખત મંચ પર ભજવાયુ હતુ.તેનુ એક ગીત બહુ પોપ્યુલર થયુ હતુ.
લતા મંગેશકરની બાયોગ્રાફી લતા સુર ગાથામાં લતાજી અને સાવરકરના એક કિસ્સાનો ઉલ્લેખ લેખક યતિન્દ્ર મિશ્રાએ કરતા કહ્યુ હતુ કે,લતાજીએ પોતાની કિશોરાવ્સ્થામાં સમાજ સેવાનુ પ્રણ લીધુ હતુ.તેઓ રાજકારણમાં આવવા માંગતા હતા.આ માટે તેઓ વીર સાવરકર સાથે ચર્ચા કરતા હતા.એક સમયે એવો આવી ગયો હતો કે,લતાજી સંગીતની દુનિયા છોડવા માંગતા હતા.તે વખતે સાવરકરે તેમને મળીને સમજાવ્યુ હતુ.
સાવરકરે તેમને તે વખતે તેમના પિતા દીનાનાથ મંગેશરકરની યાદ દેવડાવી હતી.તે સમયે સાવરકરે લતાજીને સમજાવ્યા હતા કે,સંગીત પ્રત્યે સમર્પિત થઈને પણ સમાજની સેવા થઈ શકે છે.એ પછી લતાજીએ સંગીતને છોડવાનો વિચાર બદલ્યો હતો.
સાવરકરે તે સમયે લતાજીને કહ્યુ હતુ કે,તમે એવા પિતાના સંતાન છો જેમનો સિતારો શાસ્ત્રીય સંગીતમાં ઝળહળી રહ્યો છે.તમારે દેશની સેવા કરવી હોય તો સંગીત થકી પણ કરી શકો છે.એ પછી લતાજીનુ મન બદલાઈ ગયુ હતુ.