મુંબઇ : કોવિડ-૧૯ વિરોધી વેક્સિનનો ડબલ ડોઝ લેવાથી મૃત્યુનું જોખમ ૯૪ ટકા ઘટી જતુ હોવાનું મુંબઇ મહાપાલિકા સંચાલિત સેવન-હિલ્સ હોસ્પિટલ દ્વારા હાથ ધરાયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે.હોસ્પિટલમાં જુલાઇ, ૨૦૨૧ અને ફેબુ્રઆરી ૨૦૨૨ વચ્ચે વેક્સિન લીધા વિના દાખલ થયેલા દર્દીઓમાં મોતની ટક્કાવારી ઉંચી જોવા મળી હતી.વેક્સિન ન લેનારા દર પાંચમાંથી એક વ્ય્યક્તિને વાયરસ ભરખી ગયો હતો એવું અભ્યાસ કહે છે.જ્યારે અંશતઃ વેક્સિનેટેડ દર્દીઓની સાજા થઇને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મેળવવાની ટક્કાવારી ૯૩.૪૫ ટકા નોંધાઇ હતી.દેશમાં કોવિડ-૧૯ વિરોધી વેક્સિનેશન શરૃ થયાને ૧ વર્ષથી વધુ સમય થઇ ગયો હોવા છતાં રસીની ઇન્ફેકશન્સ પર અસર વિશે બહુ થોડી જાણકારી ઉપલબ્ધ છે.વેક્સિન્સ શરીરની કુદરતી સંરક્ષણ યંત્રણા (રોગ પ્રતિકારક શક્તિ કે ઇમ્યુન સિસ્ટમ)ને વાયરસને ઓળખી એની સામે લડવા તાલિમ આપી તૈયાર કરે છે.એટલે વેક્સિન લીધા પછી વાયરસ શરીરમાં પ્રવેશે ત્યારે ઇમ્યુન સિસ્ટમ તુરત એનો નાશ કરી નાખે છે.અને વ્યક્તિ કોવિડની બિમારીથી બચી જાય છે.
સેવન હિલ્સ હોસ્પિટલમાં વેક્સિન લીધી હોવા છતાં દર્દીઓને કોવિડ-૧૯નું ઇન્ફેકશન લાગવા વિશે અભ્યાસ હાથ ધરાયો હતો. આ દર્દીઓ જુલાઇ, ૨૦૨૧થી ફેબુ્રઆરી, ૨૦૨૨ વચ્ચે હોસ્પિટલમાં એડમિટ થયા હતા.આ સમયગાળામાં કુલ ૯૮૯૩ કોવિડ પોઝિટીવ દર્દીઓ દાખલ થયા હતા, જેમાંથી ૪૭૧૦ (૪૭.૬૦ ટકા) દર્દીઓ ફુલ્લી વેક્સિનેટેડ હતા, ૧૪૯૭ (૧૫.૩ ટકા) પેશન્ટસે એક ડોઝ લીધો હતો જ્યારે ૩૬૮૬ દર્દીઓ (૩૭.૨૫ ટકા) એ વેક્સિન લીધી જ નહોતી.સિંગલ ડોઝ લેનાર સિંગલ ડોઝ લેનાર ૧૪૦૫ દર્દીઓમાંથી ૯૮ (૬.૫૨ ટકા) લોકોના મોત થયા હતા.જ્યારે ૪૪૨૯ ફુલ્લી વેક્સિનેટેડ દર્દીઓમાંથી ૨૮૧ (૫.૯૬ ટકા) વ્યક્તિ મૃત્યુ પામી હતી. જ્યારે એક પણ વેક્સિન ન લેનાર ૩૬૮૬ પેશન્ટ્સમાંથી ૭૪૫ (૨૪.૨૧ ટકા) લોકો વાયરસ સામેનો જંગ હારી દુનિયા છોડીગયા હતા.
સેવન હિલ્સ હોસ્પિટલના એડિશનલ ડીન ડૉ. સ્મિતા ચવ્હાણે જણાવ્યું હતું કે વેક્સિન તમને રોગની તીવ્રતાથી બચાવે છે પરંતુ તમને ઇન્ફેકશન સામે રક્ષણ નથી આપી શકતી એવો નિર્દેશ અભ્યાસમાંથી મળ્યો છે.અભ્યાસે એવું પણ દર્શાવ્યું છે કે દરેક વ્યક્તિની ઇમ્યુન સિસ્ટમ જુદી છે એટલે વેક્સિનનો પ્રતિસાદ પણ અલગ અલગ હોય છે.પરંતુ એક વાત નક્કી છે કે વેક્સિન્સ લોકોને ઇન્ફેકશન લાગે તો પણ એને લીધે કોમપ્લિકેશન્સ ઉભા થવા સામે રક્ષણ આપે છે.અભ્યાસ એ પણ દર્શાવે છે કે લોકો માટે બે ડોઝ પછી બુસ્ટર ડોઝ લેવો કેટલો મહત્વનો છે.બુસ્ટર ડોઝથી એન્ટીબોડીનું લેવલ જળવાઇ રહે છે.એટલે હું ખાસ કરીને વરિષ્ઠ ધરાવતા લોકોને એમણે બીજો શોટ લીધા પછી ૯ માસ પુરા થઇ ગયા હોય તો બુસ્ટર ડોઝ લેવાની અપીલ કરું છું.કોવિડ ટાસ્ટ ફોર્સના સભ્ય ડૉ. ઓમ શ્રીવાસ્તવે કહ્યું હતું કે વેક્સિન્સ શરીરને વાયરસ સામે લડવામાં મદદરૃપ થાય છે એ વાતમાં કોઇ શંકા નથી.વેક્સિનેશનને કારણે જ હવે બહુ થોડા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૃર પડે છે.


