(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૃવાર : આવકવેરાની ડિમાન્ડ રૃા. ૫૦ લાખથી ઓછી થતી હોય તેવા ૨૦૧૨-૧૩, ૨૦૧૩-૧૪ અને ૨૦૧૪-૧૫ના આકારણી વરસના પુનઃઆકારણીના કેસોમાં નોટિસો ન આપવાની સૂચના આવકવેરા ખાતાએ તેના અધિકારીઓને આપી દીધી છે.સુપ્રીમ કોટ ગત સપ્તાહમાં એક ચૂકાદો આપીર્નેે જૂની કલમ ૧૪૮ની નોટિસને નવી કલમ ૧૪૮ (કેપિટલ એ)માં રૂપાંતરિત કરવાની સૂચના આપી હતી.આ જ કલમ ૧૪૮ (કેપિટલ એ)માં ૫૦ લાખથી ઓછી વેરાની ડિમાન્ડ હોય તો ત્રણ વરસથી વધુ સમયગાળા માટે રિએસેસમેન્ટ ન કરવાની જોગવાઈ કરેલી છે.તેથી આ નોટિસો પાછી ખેંચવાની સૂચના આપવામાં આવી છે.કાયદેસર નોટિસ પાછી ન ખેંચે તો પણ જેમની સામે રૃા. ૫૦ લાખથી ઓછી રકમની ટેક્સ લાયેબિલીટી ઊભી કરવામાં આવી છે તેમની નોટિસો તો આપોઆપ જ રદબાતલ થઈ જશે.૯૦૦૦૦થી વધુ કરદાતાઓને આ પ્રકારની નોટિસ આપી દેવાઈ છે.
પુનઃઆકારણીના જે કેસમાં રૃા. ૫૦ લાખથી વધુ ટેક્સની ડિમાન્ડ હોય તેવા કરદાતાઓના દસ વર્ષના સમયગાળાના રિટર્નની નવેસરથી મૂલવણી થઈ શકે છે.તેથી તેમના કેસમાં નોટિસ માન્ય રહેશે.કેન્દ્ર સરકારના ૨૦૨૧-૨૨ના નાણાંકીય વર્ષના ફાઈનાન્સ બિલમાં આવકવેરા ધારાની કલમ ૧૪૮ રદ કરી દેવામાં આવી હોવા છતાંય પહેલી એપ્રિલ ૨૦૨૧ પછી આવકવેરા અધિકારીઓ તરફથી રદ થઈ ગયેલી કલમ ૧૪૮ હેઠળ ઇશ્યૂ કરવામાં આવેલી નોટિસોને નવી કલમ ૧૪૮ (કેપિટલ એ) હેઠળની ગણી લેવાનો સુપ્રીમ કોર્ટના આશ્ચર્યજનક ચૂકાદો પછી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે આજે આ સૂચના જારી કરવામાં આવી છે.
૨૦૧૨-૧૫ના ત્રણ નાણાંકીય વરસના ગાળામાં આપવામાં આવેલી પુનઃઆકારણીની નોટિસોનો સમયગાળો ૨૦૧૬ અને ૨૦૧૭માં પૂરો થઈ ગયો છે.આ નોટિસો આપવાની મહત્તમ સમયમર્યાદા ત્રણ જ વરસની હતી. ત્રણ વર્ષની મર્યાદામાં જે કરદાતાઓને નોટિસ અપાઈ હશે તેમને આવકવેરા અધિકારીઓ કારણદર્શક નોટિસ પાઠવી આપશે.કરદાતાઓને આ નોટિસનો જવાબ આપવા માટે ૧૫ દિવસનો સમય આપવાની પણ સૂચના આપવામાં આવી છે.કરદાતાની ઇચ્છાહશે તો આ મુદત વધુ લંબાવી પણ આપવામાં આવશે. આ સાથે જ તેમના કેસ શા માટે નવેસરથી ઓપન કરવામાં આવ્યા છે તે અંગેના કારણો પણ કરદાતાઓને આવકવેરા અધિકારીઓએ આપવા પડશે. આ કારણોના અનુસંધાનમાં કરદાતાઓને જોઈતા કાગળો પણ આવકવેરા કચેરીએ પૂરા પાડવાના રહેશે.


