નવી દિલ્હી, તા. 11 જાન્યુઆરી 2022 મંગળવાર : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે ઉત્તર પ્રદેશ અને ગોવા વિધાનસભા ચૂંટણી પહેલા મહત્વનુ નિવેદન આપીને હલચલ મચાવી દીધી છે.તેમણે મુંબઈમાં મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યુ કે તેમની પાર્ટી ગોવામાં થનારી આગામી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને તૃણમુલ કોંગ્રેસ સાથે ગઠબંધન માટે વાત કરી રહી છે.આ સાથે તેમણે સ્વામી પ્રસાદ મૌર્યના ભાજપમાંથી રાજીનામુ આપવા અને સમાજવાદી પાર્ટીમાં સામેલ થવાને લઈને પણ મોટો ખુલાસો કર્યો.શરદ પવારે કહ્યુ કે મૌર્ય સિવાય યુપીના કુલ 13 ધારાસભ્ય સમાજવાદી પાર્ટીમાં સામેલ થવાની છે.
ભાજપને હરાવવા માટે શરદ પવાર ગોવામાં પણ ભાજપ વિરૂદ્ધ વિપક્ષી પાર્ટીઓનુ ગઠબંધન બનાવવાનો પ્રયત્ન કરી શકે છે.યુપીની સ્થિતિ પર નજર રાખીને તે વિપક્ષને સાથે લાવવામાં પણ મહત્વની ભૂમિકા નિભાવવાનો મૂડ બનાવતા જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છેકે 2019માં મહારાષ્ટ્રમાં ભાજપને સૌથી વધારે બેઠક મળ્યા છતાં શરદ પવારે પોતાની પાર્ટી,શિવસેના અને કોંગ્રેસને સાથ લાવવાની જવાબદારી સંભાળી અને રાજ્યમાં મહાવિકાસ અઘાડી ગઠબંધનની સરકાર સુનિશ્ચિત કરી.
યુપી વિધાનસભા ચૂંટણી પર શુ કહ્યુ શરદ પવારે?
શરદ પવારે મીડિયા સાથે વાતચીત દરમિયાન ઉત્તર પ્રદેશમાં થનારી ચૂંટણીને લઈને પણ મહત્વનુ નિવેદન આપ્યુ. તેમણે કહ્યુ કે યુપીના લોકો હવે પરિવર્તન ઈચ્છે છે.અમે પણ રાજ્યમાં પરિવર્તન જોવા ઈચ્છીએ છીએ.તેમણે આગળ ભાજપ પર નિશાન સાધતા કહ્યુ, ઉત્તર પ્રદેશમાં સાંપ્રદાયિક ધ્રુવીકરણ કરાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.રાજ્યના લોકો આનો જડબાતોડ જવાબ આપશે.