ચેન્નાઈ : તા. 31 મે 2022, મંગળવાર : શહીદ નાયક દીપક સિંહના પત્ની રેખા દેવીએ ચેન્નાઈના ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમી(ઓટીએ)માં પોતાની ટ્રેનિંગ શરૂ કરી દીધી છે.દીપક સિંહ જૂન 2006માં ચીનની પીપલ્સ લિબરેશન આર્મી(PLA)સાથેની અથડામણમાં શહીદ થયા હતા.આ અથડામણમાં ભારતના કુલ 20 જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.બિહાર રેજિમેન્ટની 16મી બટાલિયનના નાયક દીપક સિંહને નવેમ્બર 2021માં દેશના રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ દ્વારા મરણોત્તર વીર ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો.શહીદની પત્ની રેખા દેવી પણ સેનામાં ભરતી થઈ દેશની સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
મધ્યપ્રદેશના રીવા જિલ્લાની રહેનારી રેખા દેવી સર્વિસ સેલેક્શન બોર્ડના ઈન્ટરવ્યુમાં પાસ કર્યા બાદ ઓટીએ ટ્રેનિંગ લેવાની શરૂ કરી દીધી છે.શોર્ટ-સર્વિસ કમિશન હેઠળ લેફ્ટિનેન્ટ ના પદ માટે પસંદ કરવામાં આવી છે.પરંતુ આ પહેલા 9 મહીનાની ટ્રેનિંગ પૂરી કરવાની રહેશે.ટ્રેનિંગ સેન્ટરના અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું કે,એસએસપી મહિલા ઓફિસર્સ પણ સ્થાયી કમિશન માટે યોગ્ય બની ગઈ છે.
શહીદ સૈનિકોની પત્નીઓને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આયોજિત સંયુક્ત સંરક્ષણ સેવાઓ પરીક્ષામાં બેસવાની પાત્રતામાંથી મુક્તિ આપવામાં આવી છે.તેઓ ઉંમરમાં પણ છૂટની હકદાર છે.પરંતુ રેખાને તેની જરૂર ન પડી.ઓટીએ માટે ઉમેદવારોની ઉંમર 19થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને રેખાની ઉંમર 23 વર્ષની છે.23 નવેમ્બર 2021ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક અલંકરણ સમારોહમાં રેખાએ પોતાના પતિને મળેલા વીર ચક્રને પ્રાપ્ત કર્યો હતો.આ અલંકરણ સમારોહમાં દીપક સિંહ ઉપરાંત ગલવાનમાં શહીદ થયેલા અન્ય જવાનોને પણ સમ્માનિત કરવામાં આવ્યા હતા.પેટ્રોલ પોઈન્ટ-14 નજીક લગભગ 7 કલાક સુધી ખૂની સંઘર્ષ થયો હતો.આ દરમિયાન તબીબી સહાયક નાયક દીપક સિંહે પોતાનો જીવ જોખમમાં મૂકી 30થી વધુ ભારતીય જવાનોના જીવ બચાવ્યા હતા.આ અથડામણમાં લગભગ 40 પીએલએ સૈનિક માર્યા ગયા હતા પરંતુ ચીને દાવો કર્યો હતો કે,તેમના માત્ર 4 સૈનિકોનો જ જીવ ગયો હતો.