નવીદિલ્હી, તા.26 : શાકાહારી ભોજન અને ધુમ્રપાન કરનારા લોકો પર કોરોના સંક્રમિત થવાનો ખતરો ઘણો ઓછો હોય છે.કાઉન્સીલ ઓફ સાયન્ટીફિક ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ (સીએસઆઈઆર)ના તાજેતરના સર્વેમાં આ દાવો કરવામાં આવ્યો છે.સર્વેમાં જણાવ્યા મુજબ કોરોના શ્ર્વાસ સાથે જોડાયેલી બીમારી છે
આમ છતાં ધુમ્રપાનને કારણે સંક્રમણનો ખતરો ઓછો થઈ શકે છે.સર્વેમાં કહેવાયું છે કે ધુમ્રપાન કરનારા લોકો અને શાકાહારી ભોજન લેનારા લોકોમાં ‘સીરો પોઝિટીવિટી’ ઓછી જોવા મળી છે.આ અભ્યાસ 140 વૈજ્ઞાનિકો અને ડોક્ટરોએ કર્યો છે જેમાં શહેરી અને અર્ધશહેરી કેન્દ્રોમાં સીએસઆઈઆરની 40થી વધુ લેબોરેટરીઓમાં કામ કરનારા 10,427 વયસ્કો અને તેના પરિવારના સભ્યોનું આકલન કરવામાં આવ્યું છે.સર્વેમાં સામે આવ્યું છે કે કોવિડ-19 શ્વાસ સંબંધી બીમારી હોવા છતાં ધુમ્રપાન બચાવ કરી શકે છે કેમ કે તે વધુ લાળ બનાવે છે.જો કે તેમાં ચેતવણી આપવામાં આવી છે કે કોરોના વાયરસ સંક્રમણ પર ધુમ્રપાન અને નિકોટિનના પ્રભાવને સમજવા માટે વધુ અભ્યાસની જરૂર છે.અભ્યાસમાં એવો પણ ખુલાસો થયો છે કે શાકાહારી ભોજન રેસાઓથી ભરપૂર હોય છે જે કોવિડ-19 વિરુદ્ધ પ્રતિરોધક ક્ષમતા ઉપલબ્ધ કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

