શાહીન બાગ પર જનતા કર્ફ્યૂની અસર નહી, મહિલાઓનું વિરોધ પ્રદર્શન યથાવત

HM News
2 Min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસની મહામારીને લઈ આજે સવારે 7થી રાતે 9 વાગ્યા સુધી જનતા કરફ્યુ પાળવાનું આહવાન કર્યું હતું. તેની વચ્ચે દિલ્હીના શાહીનબાગમાં નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં મહિલાઓનું પ્રદર્શન યથાવત છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે રવિવારે આખા દેશમાં જનતા કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. જ્યારે દિલ્હીના શાહીનબાગમાં નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં લગભગ ત્રણ મહિનાથી વિરોધ પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓ વચ્ચે એ વાતને લઇને લડાઇ શરૂ થઇ ગઇ છે કે રસ્તો ખાલી કરીએ કે નહીં. હવે શાહીનબાગમાં બે જૂથ પડી ગયા છે પરંતુ આ બધા વચ્ચે પ્રદર્શન ચાલી રહ્યું છે.

શાહીનબાગના એક જૂથના કહેવા પ્રમાણે તે કોરોનાના વાયરસ સામે લડવામાં વડાપ્રધાન મોદીના અભિયાનના સમર્થન કરશે તો બીજું જૂથ કહે છે કે કાંઇ પણ થઇ જાય અમે રસ્તા પરથી હટીશું નહી. શનિવારે આ કારણે બંન્ને જૂથ વચ્ચે લડાઇ પણ થઇ હતી. જોકે, બાદમાં બંન્ને જૂથોને સમજાવીને સમાધાન કરાવાયું હતું. હાલમાં શાહીનબાગમાં પ્રદર્શન ચાલી રહ્યું છે.

આ અગાઉ દિલ્હી પોલીસે શનિવારે ઇન્ડિયા ઇસ્લામિક સેન્ટરમાં શાહીનબાગના પ્રદર્શનકારીઓ સાથે મળીને બેઠક કરી હતી. અહી દિલ્હી પોલીસે કોરોના વાયરસને ફેલાવતો રોકવા માટે લોકોને પ્રદર્શન ખત્મ કરવાની અપીલ કરી હતી. દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓને અપીલ કરી હતી કે આખા દેશમાં કોરોના વાયરસ ફેલાઇ રહ્યો છે. એટલા માટે પ્રદર્શન બંધ કરવામાં આવે. પોલીસે કહ્યુ કે ઓછામાં ઓછું જનતા કર્ફ્યૂના દિવસે પ્રદર્શન કરવામાં આવે. ઇન્ડિયા ઇસ્લામિક સેન્ટરના સભ્યોએ પોલીસનું સમર્થન કર્યું હતું.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *