મુંબઈ : તા.30 જૂન 2022,ગુરૂવાર : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફ્લોર ટેસ્ટ પહેલા જ બુધવારે મોડી રાતે રાજીનામુ આપવાની જાહેરાત કરી ત્યાર બાદ સૌ કોઈની નજર ભાજપ અને બળવાખોર નેતાઓની પ્રતિક્રિયાઓ પર અટકી છે.ત્યારે એકનાથ શિંદેની બંડખોર ટીમ તરફથી સૌથી પહેલી પ્રતિક્રિયા ટીમ શિંદેના પ્રવક્તા દીપક કેસરકરે આપી છે.
કેસરકરે એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે,મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું રાજીનામુ અમારા માટે કોઈ આનંદની વાત નથી.અમને સૌને દુઃખ છે કે,NCP અને કોંગ્રેસ સામે લડતી વખતે અમારે અમારા લીડરથી પણ નારાજ થવું પડ્યું.તેનું કારણ એનસીપી અને સંજય રાઉત જ છે. તેઓ દરરોજ કેન્દ્ર સરકારની વિરૂદ્ધમાં નિવેદનો આપવાનું અને કેન્દ્ર તથા રાજ્ય વચ્ચે ખરાબ સંબંધો પ્રસ્થાપિત કરવાનું કામ કરતા હતા. આ કારણે સ્થિતિ વણસી હતી અને આખરે આ પગલું ભરવું પડ્યું હતું.