મુંબઈ, તા. 22 જૂન 2022, બુધવાર : મહારાષ્ટ્રમાં ઠાકરે સરકાર પર કાળા વાદળ છવાયા છે.ગઈકાલે એકનાથ શિંદે સાથે સુરત પહોંચેલા શિવસેનાના ધારાસભ્યોમાં નીતિન દેશમુખ પણ સામેલ હતા અને સુરતમાં તેમની તબિયત લથડી હોવાના સમાચાર સામે આવ્યા હતા.નીતિન દેશમુખની પત્નીએ પોતાનો પતિ ગુમ થયા હોવાની પોલીસ ફરિયાદ પણ કરી હતી.
હવે મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે શિવસેનાના ધારાસભ્ય કૈલાશ પાટિલ અને નીતિન દેશમુખ એકનાથ શિંદેના કેમ્પ પરથી મુંબઈ પરત ફર્યા છે અને મહારાષ્ટ્રના ઉદ્ધવ ઠાકરેને પોતાનું સમર્થન જાહેર કર્યું છે.
જોકે, ગુવાહાટીથી મુંબઈ પહોંચેલા નીતિન દેશમુખે ગુજરાત પોલીસ પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું છે કે, મને હોસ્પિટલ લઈ ગયા બાદ 20થી 25 લોકોએ બળજબરી પૂર્વક ઈન્જેક્શન લગાવ્યું હતું.મને આશંકા છે કે, ગુજરાત પોલીસ દ્વારા મને હોસ્પિટલમાં ઝેરી ઈન્જેક્શન આપીને મારી નાખવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.મારી તબિયત સીરીયસ હોવા છતા તે ઈન્જેક્શન શું હતા,મને કેમ આપવામાં આવ્યા હતા તેની મને કોઈ ખબર નથી.તેમણે મુંબઈની ધરતી પર ફરી પગ મૂકતા કહ્યું કે, હું ઉદ્ધવ ઠાકરેનો અને શિવસેનાનો વફાદાર શિવસૈનિક હતો અને શિવસેનામાં જ રહીશ.સામે પક્ષે શિવસેનાએ દાવો કર્યો છે કે, હોટલમાં જ્યારે નીતિન દેશમુખ મુંબઈ જવા માટે હંગામો કરી રહ્યા હતા ત્યારે પોલીસ અધિકારીઓએ તેમને માર માર્યો હતો.