નવી દિલ્હી : તા.14 જુલાઈ 2022,ગુરૂવાર : આગામી 18 જુલાઈના રોજ યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે શિવસેનાના યુ-ટર્ન મામલે વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહાએ જોરદાર કટાક્ષ કર્યો છે.ઉલ્લેખનીય છે કે,રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મૂની સામે યશવંત સિંહા મેદાનમાં છે.શિવસેનાના મહાસચિવ સુભાષ દેસાઈએ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે સંયુક્ત ઉમેદવારને અંતિમ સ્વરૂપ આપવા માટેની વિપક્ષી દળોની બેઠકમાં ભાગ લીધો હતો.ત્યારે ઉદ્ધવ ઠાકરેએ મંગળવારના રોજ એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને પોતાની પાર્ટીનું સમર્થન જાહેર કર્યું હતું.શિવસેનામાં એકનાથ શિંદેની ટીમ તથા ભાજપ દ્વારા સત્તા ગુમાવી ચુકેલા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે,તેમની વિચારસરણી નીચલી કક્ષાની નથી તથા શિવસેના દ્વારા એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને સમર્થન આપવામાં આવ્યું તે આ વાતનો પુરાવો છે.યશવંત સિંહાએ આસામના ગુવાહાટી ખાતે કોંગ્રેસના ધારાસભ્યો તથા સાંસદો સાથે વાતચીત કરી હતી અને સાથે જ કેન્દ્ર પર શિવસેનાને પોતાનું વલણ બદલવા મજબૂર કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.તેમણે જણાવ્યું હતું કે,ઉદ્ધવ ઠાકરેને રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં દ્રૌપદી મુર્મૂને સમર્થન આપવા માટે મજબૂર કરવામાં આવ્યા છે.

