મુંબઈ, તા.10 : અત્યારે માયાનગરી મુંબઈમાં બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત અને શાસનમાં રહેલી શિવસેના વચ્ચે જોરદાર ડખ્ખો ચાલી રહ્યો છે અને દરરોજ તેમાં વધારો જ થઈ રહ્યો છે.જો કે આવું પહેલી વખત નથી બન્યું કે ફિલ્મી કલાકારો અને શિવસેના વચ્ચે વિવાદ ન થયો હોય,આ પહેલાં પણ અનેક કલાકારો સાથે શિવસેનાનો આંકડો 36નો જ રહેવા પામ્યો છે.આ કલાકારોમાં પછી ભલે શાહરૂખ ખાન હોય કે પછી સલમાન ખાન હોય કે પછી કપિલ શર્મા હોય કોઈને ઝાટકવાનું શિવસેનાએ બાકી રાખ્યું નથી.એવું નથી કે તમામ કલાકારો શિવસેનાના નિશાન ઉપર જ રહ્યા છે.અમિતાભ,સંજય દત્ત સહિતના અમુક કલાકારો એવા પણ છે જેમની વ્હારે શિવસેના આવી છે.2010માં બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાને આઈપીએલમાં પાકિસ્તાની ખેલાડીઓને સામેલ કરવાનો આગ્રહ રાખતાં શિવસેના બગડી હતી. પક્ષના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે શાહરૂખનું ઘર મન્નત મુંબઈમાં છે નહીં કે પાકિસ્તાનમાં.આ વખતે શાહરૂખ મુંબઈમાં નહોતો એટલે રાઉતે કહ્યું હતું કે એક વખત તેને મુંબઈ પરત ફરી જવાનો દો પછી અમે જોઈ લેશું.આ પછી તેની ફિલ્મ માય નેમ ઈઝ ખાનના પોસ્ટર પર ફાડવામાં આવ્યા હતા.
શાહરૂખ પછી શિવસેનાને કોમેડિયન કપિલ શર્મા સાથે વાંકું પડ્યું હતું.કપિલે 2016માં મુંબઈ કોર્પોરેશનના અધિકારીઓ ઉપર પાંચ લાખ રૂપિયાની લાંચ માગવાનો આરોપ લગાવ્યો હતો જેનાથી ભડકેલી શિવસેનાએ કપિલને લાંચિયા અધિકારીનું નામ ન આપવા પર મુંબઈમાં તેના શૂટિંગને બંધ કરાવી દેવાની ધમકી અપાી હતી. પક્ષે કહ્યું હતું કે કપિલે શિવસેનાને બદનામ કરવાની કોશિશ કરી છે.
સલમાન ખાન સાથે પણ શિવસેનાને ખાસ્સું એવું બનતું નથી.સર્જિકલ સ્ટ્રાઈક પછી ઓક્ટોબર-2016માં સલમાનની ફિલ્મ બજરંગી ભાઈજાનનું શૂટિંગ ચાલી રહ્યું હતું અને પાકિસ્તાની કલાકારોનો વિરોધ થઈ રહ્યો હતો ત્યારે સલમાને કહ્યું હતું કે કલાકાર અને આતંકીઓમાં ફરક હોય છે.આ પછી શિવસેનાએ અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.આ પછી 2017માં ટાઈગર જિંદા હૈની રિલિઝ ડેટ મરાઠી ફિલ્મ દેવા સાથે રિલિઝ કરવામાં આવતાં શિવસેનાએ કહ્યું હતું કે મોટી માછલીઓ નાની માછલીને ખાવાનો પ્રયત્ન કરે. જો કે થોડા દિવસ પછી બધું શાંત પડી ગયું હતું કેમ કે સલીમખાનના સંબંધ ઠાકરે પરિવાર સાથે સારા છે.
કંગના સાથે શિવસેનાને બીજી વખત અથડામણ થઈ છે.આ પહેલાં પાછલા વર્ષે 25 જાન્યુઆરીએ જ્યારે બાલાસાહેબ ઠાકરેના જીવન પર ફિલ્મ રિલિઝ થવાની હતી ત્યારે શિવસેનાએ એલાન કર્યું હતું કે એ દિવસે કોઈ બીજી ફિલ્મ રિલિઝ નહીં થાય.અનેક ડાયરેક્ટરોએ રિલિઝ ડેટ બદલી નાખી હતી પરંતુ કંગનાએ પોતાની ફિલ્મ મણિકર્ણિકાની રિલિઝ ડેટ બદલાવી નહોતી જે શિવસેનાને બિલકુલ માફક આવ્યું નહોતું.
જો કે શિવસેનાએ અમિતાભ બચ્ચન કોંગ્રેસથી નજીક હોવા છતાં તેમની મદદ કરી હતી.બચ્ચનનું 1984-85માં જ્યારે બોફોર્સ કાંડમાં નામ આવ્યું ત્યારે તેની ફિલ્મ રિલિઝ ન થવાની ધમકી અપાઈ હતી પરંતુ બાલ ઠાકરેએ ત્યારે બચ્ચનની મદદ કરી હતી.આ ઉપરાંત ફિલ્મ કુલી વખતે પણ પક્ષની જ એમ્બ્યુલન્સે બચ્ચનને હોસ્પિટલે પહોંચાડ્યા હતા.