મુંબઈ , તા.21 ફેબ્રુઆરી-2023, મંગળવાર : શિવસેનાનો અખત્યાર એકનાથ શિંદે જૂથને મળતાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે,જેમ કે શિવસેના ભવનનો તાબો શું શિંદે જૂથ લઈ લેશે? એની અન્ય પ્રૉપર્ટીઓનું શું,પાર્ટી ફન્ડનું શું? ઉદ્ધવ ઠાકરે ગ્રુપમાં આ બાબતે ચિંતાનું મોજું ફરી વળ્યું છે ત્યારે વધુ એક વિવાદ ઊભો થઈ શકે એવી પરિસ્થિતિ સર્જાઈ છે.
સામાજિક કાર્યકર યોગેશ દેશપાંડેએ ખણખોદ કરીને શોધી કાઢ્યું છે કે શિવસેના ભવનની જગ્યા તો ‘શિવાઈ ટ્રસ્ટ’ પાસે છે,એથી તેમણે ચૅરિટી કમિશનરને ફરિયાદ કરી છે કે ટ્રસ્ટની જગ્યા શિવસેનાને રાજકીય પ્રવૃત્તિ કરવા કઈ રીતે આપવામાં આવી? તેમણે શિવસેના ભવન અને શિવાઈ ટ્રસ્ટ બન્ને સામે ફરિયાદ કરી છે.યોગેશ દેશપાંડેએ કહ્યું કે પબ્લિક ટ્રસ્ટની જગ્યા રેન્ટ પર આપી શકાતી નથી કે એ કોઈ રાજકીય પ્રવૃત્તિ માટે પણ આપી શકાતી નથી તો પછી આ બાબતે ચૅરિટી કમિશનરે શું ભૂમિકા લીધી? તમે એના પર શું કાર્યવાહી કરશો? એ જાણવા આ નોટિસ મોકલી છે.આ બાબતે જનહિતની અરજી પણ કરવામાં આવશે.
જ્યારે યોગેશ દેશપાંડેને પૂછવામાં આવ્યું કે આ તપાસ હમણાં જ કેમ કરવામાં આવી? ત્યારે તેમણે કહ્યું કે હાલમાં જાણવા મળ્યું હતું કે બાળાસાહેબે આવી ઘણી બધી અરેન્જમેન્ટ કરી રાખી હતી.એથી થોડી તપાસ કરતાં આ મુદ્દે જાણવા મળ્યું અને એથી જ ફરિયાદ કરી છે.
એકનાથ શિંદે જૂથના વિધાનસભ્ય સંજય શિરસાટે ચોખવટ કરતાં કહ્યું કે શિવસેના ભવન અમારા માટે મંદિરનું સ્થાન ધરાવે છે.કેટલાક લોકોને એ પ્રૉપર્ટી લાગતી હશે,પરંતુ આજે પણ જો અમે ત્યાંથી પસાર થઈશું તો અમે એને નમન જ કરીશું.જેમને પૈસાનો લોભ છે એ લોકો આ બાબતો જુએ,અમારે તો બાળાસાહેબના વિચારોને જ આગળ લઈ જવા છે.