અમદાવાદ : જાહેરમાં નોનવેજ અને ઈંડાની લારીઓ પર પ્રતિબંધની રાજકોટ કોર્પોરેશને કરેલી જાહેરાત બાદ તો આ નિર્ણય જાણે જંગલની આગ બની ચુક્યો છે.એક પછી એક પાલિકાઓ ઇંડા અને નોનવેજની લારીઓ પર પ્રતિબંધ લગાવી રહ્યા છે. અનેક મહાનગર પાલિકાઓ બાદ હવે આખરે ગુજરાતની સૌથી મોટી મહાનગરનગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ નોનવેજ અને ઇંડાની લારીઓને જાહેરમાં નહી લગાવવા અંગેનો નિર્ણય લેવાયો છે.
કોર્પોરેશનના નિયમોનું ચુસ્ત પાલન કરવું પડશે
આજથી બદલાયેલા નિયમ મુજબ જાહેરમાં નોનવેજ ઢાંકીને વેચવું પડશે.હાલમાં નોનવેજ અને આમલેટની લારી બંધ નહિ કરાવાય.પરંતુ જાહેરમાં નોનવેજ વેચતા લારી ધારકોને કેટલાક નિયમોનું પાલન કરવુ પડશે.તેઓ હવે નોનવેજ ઢાંકીને વેચી શકશે.આ ઉપરાંત જાહેરમાં લારી નહી લગાવી શકે. લારી પર વેચાતી ખાદ્ય સામગ્રી પર હાઇજેનિક સ્થિતિ જાળવવી પડશે.પાલિકાના અધિકારીઓ રોડ રસ્તા પર લાગતી લારીઓનું સર્વે કરશે. બાદમાં મેયરની અધ્યક્ષતામાં બેઠક કર્યા બાદ નિર્ણય લેશે.
કોર્પોરેશન દ્વારા માસ્ટર પ્લાન ઘડી કાઢવામાં આવ્યો
આ અંગે કોર્પોરેશન દ્વારા પ્લાનિંગ પણ કરવામાં આવી રહ્યું છે. નોનવેજ અને ઇંડાની લારીઓ હટાવવા અંગે હાલ તો ગુજરાતમાં રાજનીતિ પણ ગરમાઇ ચુકી છે.અનેક નેતાઓ આ અંગે નિવેદનો પણ આપી ચુક્યા છે.નાગરિકે શું ખાવું શું નહી તેનો નિર્ણય સરકાર કઇ રીતે કરી શકે? વગેરે જેવા મુદ્દાઓ પર નિષ્ણાંતોમાં પણ મતમતાંતર જોવા મળી રહ્યું છે.જો કે ગુજરાતનાં તમામ મોટા શહેરોમાં જાહેરમાં નોનવેજ અને ઇંડાની લારીઓ પર જાહેરમાં ઉભા રહેવા પર પ્રતિબંધ લગાવાઇ રહ્યો છે તે વાસ્તવિકતા છે.એક પછી એક પાલિકાઓ અને મહાનગરપાલિકાઓ ધડાધડ આ નિર્ણયને લાગુ પણ કરી રહી છે.
કોર્પોરેશન દ્વારા કાલથી જ કડક કાર્યવાહી કરવામાં આવશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર રસ્તા પર દબાણ કરતી અથવા તો નડતી હોય તેવી તમામ નોનવેજ અને ઇંડાની લારીઓ હટાવવામાં આવશે.આ અંગે તત્કાલ કાર્યવાહી કરવા માટે પણ કોર્પોરેશન દ્વારા આદેશ આપી દેવામાં આવ્યો છે. જેના પગલે કાલથી જ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે. ઇંડા અને નોનવેજની લારી ધારકો ઇચ્છે તો મેદાન કે કોર્પોરેશન દ્વારા બનાવાયેલા સ્ટેન્ડ પર ઉભા રહી શકશે પરંતુ જાહેર રોડ પર ઉભા નહી રહી શકે.આ અંગે કોર્પોરેશન દ્વારા કાલથી જ કાર્યવાહી શરૂ કરવામાં આવશે.


