મધ્યપ્રદેશના રાજકારણ માટે આજનો દિવસ ખૂબ જ અગત્યનો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આજે સાંજે ફ્લોર ટેસ્ટ થવાનો છે. ફ્લોર ટેસ્ટ બાદ સ્પષ્ટ થશે કે ‘હિન્દુસ્તાનનું હાર્ટ’ કહેવાતા પ્રદેશમાં કમલનાથ સરકાર હશે કે પછી પૂર્વ શિવરાજ સિંહ સત્તા પર પાછા આવશે.
મીડિયાને મળશે સીએમ કમલનાથ
આજે બપોરે 12 વાગ્યે મધ્યપ્રદેશના સીએમ કમલનાથ મીડિયા સાથે વાતચીત કરશે. અંદાજો છે કે આ દરમ્યાન સીએમ કમલનાથ સરકારને લઇ ફ્લોર ટેસ્ટ પહેલાં કોઇ નિર્ણય લઇ શકે છે.
16 ધારાસભ્યોના રાજીનામા થયા મંજૂર
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મધ્યપ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ નર્મદા પ્રસાદ પ્રજાપતિએ કોંગ્રેસના બાકી બચેલા તમામ 16 બળવાખોર ધારાસભ્યોના રાજીનામા સ્વીકારી લીધા. આની પહેલાં પ્રજાપતિ કોંગ્રેસના છ બળવાખોર ધારાસભ્યોના રાજીનામા સ્વીકારી લેવાયા છે. આમ હવે તમામ 22 બળવાખોર ધારાસભ્યોના રાજીનામાનો સ્વીકાર કરી લેવાયો છે. તેમાંથી મોટાભાગના કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થક છે. પ્રજાપતિએ કહ્યું કે તેમણે 16 બળવાખોર ધારાસભ્યોના રાજીનામાને સ્વીકારી લેવાયા છે.
આજે બપોરે 2 વાગ્યે સ્પેશ્યલ સત્ર
વિધાનસભાનું સ્પેશ્યલ સત્ર 20મી માર્ચના રોજ બપોરે 2 વાગ્યે બોલાવ્યું છે. આ સત્ર સુપ્રીમ કોર્ટના આદેશની આજ્ઞાનું પાલન કરતાં બોલાવ્યું છે. મધ્યપ્રદેશ વિધાનસભાના પ્રમુખ સચિવ અવધેશ પ્રતાપ સિંહે કહ્યું કે મધ્યપ્રદેશ વિધાનસભાનું ખાસ સત્ર 20મી માર્ચના રોજ બપોરે 2 વાગ્યે બોલાવ્યું છે. આ સત્ર સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે. તેમણે કહ્યું કે આ સત્ર સુપ્રીમ કોર્ટના આદેશની આજ્ઞાનું પાલન કરતાં બોલાવામાં આવ્યા છે.
શિવરાજે સુરક્ષાની માંગણી કરી
તો ભાજપના નેતા શિવરાજ સિંહ ચૌહાણે મધ્યપ્રદેશના પોલીસ મહાનિર્દેશકને પત્ર લખી ભાજપના ધારાસભ્ય દળની સુરક્ષાની માંગણી કરી છે. તેમણે કહ્યું કે માનનીય સુપ્રીમ કોર્ટમાંથી પસાર થયેલા આદેશાનુસાર 20મી માર્ચ 2020ના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં મધ્યપ્રદેશ વિધાનસભામાં વિશ્વાસમતનું પરીક્ષણ કરવાનું છે.
ભાજપે વ્હિપ જાહેર કર્યું
ભાજપના ધારાસભ્ય દળના મુખ્ય સચેતક નરોત્તમ મિશ્રાએ ભાજપના ધારાસભ્યોને વ્હિપ રજૂ કરતાં શુક્રવારના રોજ કમલનાથ સરકારની વિરૂદ્ધ મત આપવા માટે કહ્યું છે. તો બીજીબાજુ કોંગ્રેસ ધારાસભ્ય દળના મુખ્ય સચેતક અને પ્રદેશના સંસદીય કાર્યમંત્રી ગોવિંદ સિંહે પોતાના તમામ ધારાસભ્યોને 20મી માર્ચના રોજની કાર્યવાહી દરમ્યાન ગૃહમાં ચોક્કસ ઉપસ્થિત રહેવાનું અને સરકારના પક્ષમાં મતદાન કરવા માટે કહ્યું છે.