બારડોલી : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં લીંડીયાત ગામે શેરડીના પાકમાં ભેલાણ કરવાની ના પાડતા ખેડૂત દંપતી પર માલધારીએ લાકડી વડે હુમલો કર્યો હતો.ખેડૂતે ગામમાં નહેર નજીક આવેલ ખેતરમાં શેરડીના પાકનું વાવેતર કર્યું હતું.જેમા માલધારી દ્વારા ગેરકાયદેસર રીતે તેના માલઢોરને ભેલાણ કરવા માટે મૂકવામાં આવ્યા હોય અને ખેડૂત દ્વારા આ ભેંસોને ખેતરમાંથી બહાર કાઢતા માલધારીએ ખેડૂત દંપતી ઉપર લાકડી વડે હુમલો કરી માર માર્યો હતો.જેના પગલે ખેડૂતને સારવારમાં ખસેડાયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ માંગરોળ તાલુકાનાં લીંડીયાત ગામે મંદિર ફળિયામાં રહેતા શૈલેશભાઈ મનહરભાઈ પટેલ (ઉ.વ.38) નાઓ ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.ગામમાં જ નહેર નજીક તેમની ખેતીની જમીન આવેલ છે.જેમાં શેરડીનું વાવેતર કર્યું છે.જેમાં દવાનો છંટકાવ કરવાનો હોવાથી તે ગતરોજ સાંજના સમયે પત્ની કુસુમબેન સાથે ખેતરે ગયા હતા.તે સમયે તેમના ખેતરમાં કેટલીક ભેંસો ચરતી હતી અને ભેલાણ કરી શેરડીના પાકને નુકશાન કરતાં શૈલેષભાઈએ આ ભેંસોને ખેતરમાંથી હાંકી રસ્તા પર લાવ્યા હતા.ભેંસો વારંવાર ખેતરમાં ભેલાણ કરતાં શૈલેષ પટેલ તેને હાંકીને ગામ તરફ લઈ જતાં હતા તે સમયે નહેર નજીક રહેતો એક માલધારી લાકડી લઈ ત્યાં દોડી આવ્યો હતો.અને કહેવા લાગ્યો હતો કે મારી ભેંસ ક્યાં લઈ જાય છે. ભેંસો મારી આપી દો જેથી શૈલેશે કહ્યું હતું કે તું ગામમાં આવ અમારા વડીલોને વાત કરીને ભેંસો લઈ જા તેમ કહેતા જ આ માલધારીએ શૈલેષભાઈને માથાના ભાગે લાકડીનો સપાટો મારતા માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. અને વચ્ચે બચાવવા ગયેલ કુસુમબેનને પણ થપ્પડ મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી વાતની જાણ થતાં જ ગામના લોકો દોડી આવતા માલધારી ભાગી છૂટ્યો હતો.ઇજાગ્રસ્ત શૈલેષ પટેલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવ અંગે કોસંબા પોલીસે શૈલેષભાઈની ફરિયાદને આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શેરડીના પાકમાં ભેલાણ કરવાની ના પાડતા ખેડૂત દંપતી પર માલધારીએ લાકડી વડે હુમલો કર્યો

Leave a Comment