– ડ્રગ્સ અને હથિયારોના દાણચોરો ભારત અને શ્રીલંકામાં LTTEના પુનરૂત્થાન અને તેની હિંસક પ્રવૃત્તિઓને આગળ વધારવા માટે કામ કરી રહ્યા છે : NIA
નવી દિલ્હી, તા. 21 જુલાઈ 2022, ગુરૂવાર : નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ બુધવારે LTTE(Liberation Tigers of Tamil Eelam)ને પુનઃજીવિત કરવા માટે પાકિસ્તાન સ્થિત ડ્રગ અને બંદૂકના વેપારી હાજી સલીમ સાથે મળીને શ્રીલંકાના ડ્રગ માફિયાની કામગીરીના સંબંધમાં તામિલનાડુમાં 22 સ્થળોએ દરોડા પાડ્યા હતા.અધિકારીઓએ આ અંગે માહિતી આપી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, તમિલનાડુના તિરૂપુર, ચેંગલપટ્ટુ અને તિરૂચિરાપલ્લી જિલ્લામાં આરોપીઓના પરિસરોમાં શોધખોળ કરવામાં આવી હતી. NIAએ એક નિવેદનમાં આરોપ લગાવ્યો છે કે, ‘ડ્રગ્સ અને હથિયારોના દાણચોરો ભારત અને શ્રીલંકામાં LTTEના પુનરૂત્થાન અને તેની હિંસક પ્રવૃત્તિઓને આગળ વધારવા માટે કામ કરી રહ્યા છે.’ NIAએ પોતાના દ્વારા મેળવેલી માહિતીના આધારે 9 જુલાઈના રોજ કેસ નોંધ્યો હતો
એજન્સીએ એવો પણ દાવો કર્યો હતો કે, પાકિસ્તાન સ્થિત ડ્રગ અને હથિયારો સપ્લાયર હાજી સલીમ સાથે મળીને શ્રીલંકાના ડ્રગ માફિયા સી ગુનાસેકરન ઉર્ફે ગુના અને પુષ્પરાજહ ઉર્ફે પુકુટ્ટી કન્ના દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે.એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ડ્રગ અને હથિયારોના દાણચોરો ભારત અને શ્રીલંકામાં કામ કરી રહ્યા છે અને LTTEના પુનરૂત્થાન સાથે જ તેની હિંસક પ્રવૃત્તિઓને આગળ વધારવા માટે કામ કરે છે.
NIA દ્વારા 8 જુલાઈના રોજ IPCની કલમ 120B, UA(P) એક્ટની કલમ 18, 20, 38, 39 અને 40 સિવાય કલમ 8(C) સાથે જ કલમ 21(C), 23(C), NDPS એક્ટ સહિતની 24, 27A, 28 અને 29 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
એજન્સીએ જણાવ્યું હતું કે, ‘આજે પાડવામાં આવેલા દરોડાથી ડિજિટલ ઉપકરણો અને વિવિધ ગુનાહિત દસ્તાવેજોની પુનઃપ્રાપ્તિને જપ્તી કરવામાં આવી છે.’ આ દરમિયાન એજન્સીએ બુધવારે શ્રીનગર અને તેની આસપાસના વિસ્તારમાં આતંકવાદી પ્રવૃત્તિઓના કાવતરામાં જોડાયેલ એક મામલામાં કશ્મીરમાં 9 સ્થળોએ (4 શ્રીનગરમાં અને 5 પુલવામામાં) સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

