– અજિત નિવાર્ડ કબરાલે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને સુપરત કર્યું છે
કોલંબો : શ્રીલંકામાં આર્થિક સંકટ અને કટોકટી વચ્ચે સેન્ટ્રલ બેંકના ગવર્નરે રાજીનામું આપી દીધું છે. અજિત નિવાર્ડ કબરાલે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને સુપરત કર્યું છે. આ પહેલા શ્રીલંકાના તમામ મંત્રીઓએ રવિવારે રાજીનામું આપી દીધું હતું.કબરાલે લખ્યું કે, તમામ મંત્રીઓના રાજીનામાને ધ્યાનમાં રાખીને તેમણે CBSEના ગવર્નર પદ પરથી રાજીનામું રાષ્ટ્રપતિ રાજપક્ષેને સુપરત કર્યું.આ પહેલાં કબરાલને કેબિનેટની બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા અને તેમને બેંકની નીતિઓ અંગે પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન કેટલાક મંત્રીઓ સાથે વિવાદ પણ થયો હતો.બીજી બાજુ, રાષ્ટ્રપતિ રાજપક્ષેએ સંસદમાં પ્રતિનિધિત્વ કરતા તમામ રાજકીય પક્ષોને મંત્રીપદ સ્વીકારવા અને રાષ્ટ્રીય સંકટને દૂર કરવા માટે ઉકેલ શોધવા માટે સાથે આવવા અપીલ કરી છે.
શ્રીલંકાના રાષ્ટ્રપતિએ તમામ રાજકીય પક્ષોને લખેલા પત્રમાં જણાવ્યું કે, વર્તમાન કટોકટી અનેક આર્થિક અને વૈશ્વિક કારણોસર ઉભી થઈ છે.એશિયાનો લોકતાંત્રિક દેશ હોવાના નાતે આપણે આનો ઉકેલ પણ લોકતાંત્રિક રીતે શોધવો પડશે.રાષ્ટ્રપતિએ તમામ પક્ષોને સાથે આવવા અને રાષ્ટ્રીય સંકટના ઉકેલ માટે કામ કરવાની અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે, શ્રીલંકામાં ખાદ્ય પદાર્થોની પણ ભારે અછત છે.લોકો પાસે ખાવાનું નથી, રાંધણગેસ ઉપલબ્ધ નથી.પેપરની અછતને કારણે વિદ્યાર્થીઓની પરીક્ષાઓ રદ કરવામાં આવી રહી છે,વીજળી બચાવવા માટે સ્ટ્રીટ લાઇટ બંધ કરવામાં આવી રહી છે.