– – હાઇકોર્ટનો પાલનપુરની કોર્ટને નિર્દેશ
૧૯૯૬માં ખોટો નાર્કોટિક્સ કેસ ઉભો કરવાનો આરોપ : ભટ્ટની જરુરી દસ્તાવેજો માટેની અરજી ગ્રાહ્ય
અમદાવાદ : વર્ષ ૧૯૯૬માં બનાસકાંઠાના જિલ્લા પોલીસ વડા તરીકેના કાર્યકાળ દરમિયાન ખોટો નાર્કોટિક્સ કેસ ઉભો કરવાના કેસમાં પાલનપુરની જેલમાં બંધ પૂર્વ આઇ.પી.એસ. સંજીવ ભટ્ટ સામેની ટ્રાયલ ઝડપથી ચલાવવા અને નવ મહિનામાં પૂર્ણ કરવા ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ ઇલેશ જે. વોરાએ આદેશ આપ્યો છે.આ ઉપરાંત સંજીવ ભટ્ટ દ્વારા માગવામાં આવેલા દસ્તાવેજો પૂરાં પાડવાનો આદેશ પણ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે.
સંજીવ ભટ્ટ તરફથી કેસનો એ સમરી રિપોર્ટ અને કેસ ડાયરી,પાલનપુરના અગથલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી અન્ય બે ફરિયાદો અને તેમની સામે થયેલી હ્યુમન રાઇટ્સ ઇન્કવાયરીના દસ્તાવેજો આપવા માટે માગણી કરાઇ હતી.જેના જવાબમાં પ્રોસિક્યુશન એટલે કે રાજ્ય સરકાર દ્વારા દલીલ કરાઇ હતી કે અગથલા પોલીસ સ્ટેશનની ફરિયાદોને આ કેસ સાથે કોઇ સંબંધ નથી તેમજ હ્યુમન રાઇટ્સ ઇન્કવાયરીના દસ્તાવેજો હાલ સરકાર પાસે નથી.જો કે કોર્ટો નોંધ્યું છે કે હ્યુમન રાઇટ્સ ઇન્કવાયરીના દસ્તાવેજો હાલ જરુરી ન હોવાનું કોર્ટે નોંધ્યું છે અને બાકીના બન્ને દસ્તાવેજો સંજીવ ભટ્ટને પૂરાં પાડવા પ્રોસિક્યુશનને નિર્દેશ અપાયો છે.આ ઉપરાંત કેસની ટ્રાયલ ઝડપી બનાવાવ અને નવ મહિનામાં પૂર્ણ કરવા પાલનપુરની એન.ડી.પી.એસ. કોર્ટને નિર્દેશ અપાયો છે.