- તેમની સ્મૃતિ જાળવી રાખવા માટે પરિવાર સાથે ચર્ચા કરીને સંસ્થાનું નામ અને પ્રતિમા લગાવવા અંગે પણ વિચાર વિર્મશ કરવામાં આવશે
નવી દિલ્હી,તા. 16 ડિસેમ્બર,2021,ગુરૂવાર : કુન્નૂર હેલિકોપ્ટર દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહના અંતિમ સંસ્કાર 17 ડિસેમ્બરના રોજ ભોપાલ ખાતે સંપૂર્ણ રાજકીય-સૈન્ય સન્માન સાથે કરવામાં આવશે.મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે,અમર શહીદના પરિવારને તેઓ એક કરોડ રૂપિયાની સન્માન નિધિ ભેટ કરશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે,’ભારત માતાના સાચા સપૂત,શૌર્યના પ્રતીક વીર યોદ્ધા વરૂણ સિંહજીના ચરણમાં શ્રદ્ધાસુમન અર્પિત કરૂ છું.તેઓ અદભૂત અને અદ્વિતીય યોદ્ધા હતા.તેમણે પહેલા પણ મોતને માત આપી હતી.હવે તેઓ આપણા વચ્ચે નથી રહ્યા.તેમના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય અને સૈન્ય સન્માન સાથે કરવામાં આવશે.તેમનો પરિવાર આખા દેશનો,સમગ્ર પ્રદેશનો પરિવાર છે.દરેક ભારતવાસી તે પરિવાર સાથે ઉભો છે.આપણા વીર યોદ્ધાને સન્માન સાથે વિદાય કરવામાં આવશે અને સાથે જ તેમની સ્મૃતિ જાળવી રાખવા માટે પરિવાર સાથે ચર્ચા કરીને સંસ્થાનું નામ અને પ્રતિમા લગાવવા અંગે પણ વિચાર વિર્મશ કરવામાં આવશે.તેમની જે પણ ભાવના હશે તેનું ધ્યાન રાખીને પગલા ભરવામાં આવશે.અમર શહીદના પરિવારજનોને એક કરોડ રૂપિયાની સન્માન નિધિ પણ ભેટ કરવામાં આવશે.
- દર્શન માટે રાખવામાં આવશે
ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહનું પાર્થિવ શરીર બપોરે 2:30 કલાકે સેનાના વિશેષ વિમાન દ્વારા ભોપાલ લાવવામાં આવશે.તેને એરપોર્ટ રોડ સ્થિત ઈન્નર કોર્ટ કોલોનીમાં લઈ જવામાં આવશે જ્યાં કેપ્ટન વરૂણના પિતા રિટાયર્ડ કર્નલ કેપી સિંહ રહે છે.તેઓ કોલોનીના જે એપાર્ટમેન્ટમાં રહે છે ત્યાં ટેન્ટ લગાવવામાં આવ્યો છે.પાર્થિવ શરીરને ત્યાં અડધો કલાક માટે રાખવામાં આવશે.અનેક પરિવારજનોએ તેમના દર્શન નથી કર્યા તેમને સૌથી પહેલા જવા દેવામાં આવશે.ઈન્નર કોર્ટ રહેવાસી સમિતિના અધ્યક્ષ ડીએસ ગુરૂદત્તાએ જણાવ્યું કે,ત્યાર બાદ પાર્થિવ શરીરને ઈન્દ્રપ્રસ્થ પાર્ક લઈ જવામાં આવશે.સેનાના પ્રોટોકોલ પ્રમાણે અંતિમ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે.રાતમાં કેપ્ટન વરૂણના દેહને 3 ઈએમઈ સેન્ટર ખાતે સ્થિત સૈન્ય હોસ્પિટલમાં રાખવામાં આવશે.17 ડિસેમ્બરના રોજ સવારે 11:00થી 12:00 વાગ્યા વચ્ચે બૈરાગઢ વિશ્રામ ઘાટ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.