સુરત : સચીન જીઆઇડીસીની દુર્ધટનામાં નેશનલ ગ્રીન ટીબ્યુનલે(એનજીટી)પર્યાવરણને નુકસાનના વળતર પેટે રૃા.૨૦.૮૩ કરોડનો દંડ તેમજ મૃતકોને રૃા.૨.૧૩ કરોડ ચૂકવવા સહિતના હુકમને પડકારતી અરજી સુપ્રિમ કોર્ટમાં કરાઇ છે.
સુરતના સચીન વિસ્તારમાં ગત ૬-૧-૨૨ ના રોજ ગેરકાયદે કેમિકલ ઠાલવતા ગેસ લિકેજની બનેલી ઘટનામાં છ લોકોના મૃત્યુ થયા હતા.અને ૨૫ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.આ કેસ એનજીટીમાં દાખલ કરાતા ઉચ્ચ અધિકારીઓની એક કમિટી બનાવાઇ હતી.દરમ્યાન એનજીટીએ આ કેસમાં પર્યાવરણને નુકસાન બદલ રૃા.૨૦.૮૩ કરોડનો દંડ,હાઇકલ કંપનીને ૧૫.૫ કરોડ,મરણ પામેલા કામદારોને ૨.૧૩ કરોડ,આ સિવાય અલગ અલગ કંપનીઓને દંડ ફટકારાયો હતો.
આ હુકમને સુરતના પર્યાવરણવાદીએ સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો છે.તેમણે આક્ષેપ કર્યા છે કે આ કેસમાં કેટલાક આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે.એનજીટીએ રચેલ તપાસ સમિતિના રિપોર્ટ આપે તે પહેલા જ આ કેસનો અધુરો અંતિમ ચૂકાદો આપી દીધેલ હોવાથી સુપ્રિમમાં કેસ દાખલ કરાયો છે.તપાસ કમિટિ વિરુધ્ધ આક્ષેપ કર્યા હતા કે કમિટીએ અધિકારીઓની નિષ્ફળતા,દુર્ઘટનાના કારણો,જવાબદાર લોકો,નુકસાન અને અકસ્માત રોકવા માટેના પગલા બાબતે કોઇ ખાસ ભલામણ કરેલ નથી.આ કેસની સુપ્રિમમાં આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.