– હાલ વિશ્વમાં અને દેશમાં પ્રવર્તી રહેલી કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આણંદ જિલ્લામાં કોરોના વાઈરસનો ફેલાવો ન થાય તે માટે આણંદ જિલ્લા તંત્ર દ્વારા વિવિધ સ્તરે તકેદારીના પગલાં લેવાઇ રહ્યા છે. કોરોના વાયરસનો ફેલાવો શ્વાસોશ્વાસ દ્વારા ડ્રોપલેટ દ્વારા સીધા સંપર્કથી થતો હોય છે. સાવચેતીના પગલાંના ભાગરૂપે આણંદ જિલ્લા કલેકટર આર. જી. ગોહિલના અધ્યક્ષસ્થાને કોરોના વાયરસના સંદર્ભે અગમચેતી- સાવચેતી અને તકેદારી રાખવા માટે વ્યાપક જનજાગૃતિ કેળવવા ઉદ્યોગગૃહો, હોટલ માલિકો, પેટ્રોલપંપ માલિકો, બેન્કો, શાકભાજી માર્કૈટ સહિતના વિવિધ પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ હતી.
જિલ્લા કલેકટર આર. જી. ગોહિલે કોરોનાની ગંભીરતા સમજાવીને જણાવ્યું હતું કે, પરિવાર કે સમાજમાં કોઈને કોરોના વાયરસના શંકાસ્પદ ચિહ્નો દેખાય તો તાત્કાલીક ડોક્ટરોનો સંપર્ક કરીને સારવાર લેવાનું શરૂ કરવું જોઈએ. તમારા પરિવાર કે સમાજમાં કોરોના વાયરસના ચિન્હ ધરાવતા શંકાસ્પદ દર્દીઓ જોવા મળે તો તેને છુપાવવાને બદલે તંત્રને જાણ કરીને ડોક્ટરો પાસે તમારી સારવાર લેશો. કોરોના વાયરસના સંદર્ભે સિનિયર સિટીઝન વ્યક્તિઓ તેમજ બિમાર વ્યક્તિએ ખાસ કાળજી લેવાની આવશ્યકતા છે. મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય તેવા સામાજિક પ્રસંગો ટાળવા જોઇએ તેની સમજ આપી હતી.
કલેકટરે બેઠકમાં પ્રતિનિધિઓને જ્યારે ગ્રાહકો આપની પાસે આવે ત્યારે તેઓમાં જનજાગૃતિ આવે તે માટે બેન્ક, હોટલ, શાકમાર્કેટના પ્રવેશ દ્વારે અને પેટ્રોલ પંપ ઉપર સાવચેતીના પગલાં લેવા માટે શું કરવું અને શું ના કરવું જોઇએ તેવા સાઇનબોર્ડ લગાવવા સુચવ્યું હતું.
કલેકટર ગોહિલે બેઠકમાં ઉપસ્થિત પ્રતિનિધિઓને પોતાના પ્રિમાઇસીસમાં સ્વચ્છતા જળવાઇ રહે તેમજ કામ અર્થે આવતા કામદારો કે કર્મચારીઓમાં પણ જાગૃતિ આવે અને તેઓ હેન્ડ સેનેટાઇઝરનો અવશ્ય ઉપયોગ કરે તે માટેના પ્રયાસો કરવા તેમજ હોટલ માલિકોને હોટલમાં આવતા ગ્રાહકોની બેઠક વ્યાવસ્થામાં એક મીટરનું અંતર જળવાઇ રહે તેવી વ્યવસ્થા ગોઠવવા કહ્યું હતું. જાહેર જનતાના બચાવ અર્થે સ્વતયં શિસ્ત જાળવવી એ આપણી પ્રાથમિક ફરજ છે તેમ વર્તવું જોઇએ. જેમ આપણે આપણા માટે વિચારીએ છીએ તેમ આપણે સૌએ અન્ય નાગરિકો માટે પણ વિચારવું પડશે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ.ટી.છારીએ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સાવચેતીનાં ભાગરૂપે હાથ ધરવામાં આવી રહેલી કામગીરીની વિગતો આપી સૌનો સહયોગ માંગ્યો હતો. ડૉ. છારીએ નાગરિકોમાં કોઇપણ પ્રકારનો ડર પેદા થાય તેવી પ્રવૃત્તિઓથી દૂર રહેવાની સાથે સોશિયલ મીડિયાના કોઇપણ માધ્યયમમાં અફવા ન ફેલાય તે જોવા અને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી હતી. જો કોઇપણ મુશ્કેલીમાં જાણકારી મેળવવી હોય તો જિલ્લા વહીવટીતંત્રનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
જિલ્લા પુરવઠા અધિકારી બામણિયાએ માસ્ક, હેન્ડ સેનીટાઇઝર અને ગ્લોવ્ઝને આવશ્યપક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ જાહેર કરવામાં આવેલ હોઇ માસ્ક, સેનીટાઇઝર અને ગ્લોવ્ઝની સંગ્રહખોરી કે વધુ કિંમત ન લેવામાં આવે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં હોટલ-પેટ્રોલ-અનાજ-કરિયાણાના માલિકો, ઉદ્યોગગૃહો, બેન્કો અને શાકભાજી માર્કેટના પ્રતિનિધિઓ ઉપસ્થિરત રહ્યા હતા.
ચેપથી બચવા સાવચેતી રાખવી જરૂરી : કોરોના વાયરસની અસરને કારણે અનેક લોકોનાં મૃત્યુ નોંધાયેલા છે. તેવા સમયે જિલ્લાવાસીઓ અને ખાસ કરીને સિનિયર સિટીઝનોને આ રોગથી સાવચેત રહેવા જિલ્લા કલેક્ટર આર.જી.ગોહિલે અપીલ કરી છે. સિનિયર સિટીઝનો અને વિશેષ કરીને ડાયાબિટીસ, હાઇપર ટેન્શન,અસ્થમા વગેરે જેવી બિમારી હોય તેઓએ ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું. અનિવાર્ય સંજોગો સિવાય બહારગામ જવાનું ટાળવું, અન્ય વ્યક્તિને મળતી વખતે હાથ ન મીલાવતા નમસ્તે મુદ્રામાં અભિવાદન કરવું. બીનજરૂરી હોસ્પિટલની મુલાકાત ટાળવી. શરદી, ખાંસી, તાવ, ઉધરસના સંક્રમિત લોકોથી અંતર જાળવવા જણાવ્યું છે. આ તકે તેઓએ સમાજ અને પરિવારના હિતમાં જે કોઇપણ વ્યક્તિને ચેપ લાગ્યો હોય અને તેમને શરદી, તાવ, ઉધરસ કે શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જણાય તો તેઓએ તેને ન છુપાવતાં તુરંત જ નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તપાસ, સારવાર લેવી.કોઇપણ વ્યક્તિના સગા સંબંધીઓ અન્ય રાજય કે વિદેશમાંથી આવતા હોય તો તેની અચૂક જાણ તંત્રને કરવા જણાવ્યું છે.