સુરત : તા.23 જુન 2022,ગુરૂવાર : મહારાષ્ટ્ર સરકારના રાજકીય ભૂકંપ માટે એપી સેન્ટર બન્યું સુરત આજે ત્રીજા દિવસે પણ શિવસેનાને આફટર શોક આપ્યા છે.પહેલા દિવસે 41 બીજા દિવસે ત્રણ અને ત્રીજા દિવસે પણ મહારાષ્ટ્ર સરકારના ત્રણ ધારાસભ્યો મુંબઈથી ગુવાહાટી વાયા સુરત થઈ પહોંચ્યા છે.ગઈકાલે રાત્રે એક ધારાસભ્ય આવ્યા બાદ આજે બીજા બે ધારાસભ્ય આવ્યા હતા અને તેઓ સુરતથી હવાઈ માર્ગે ગુવાહાટી પહોંચ્યા છે
મહારાષ્ટ્રના રાજકારણમાં ભજવાયેલા હાઇવોલ્ટેજ ડ્રામામાં સુરત સ્ટેજ (રંગમંચ)નો મહત્વનો ભાગ ભજવ્યો છે.સોમવારે મોડી રાત્રીથી મહારાષ્ટ્ર સરકારના ધારાસભ્યોનું સુરત આવવાનું શરૂ થયું હતું તે આજે સતત ત્રીજા દિવસે પણ ચાલુ જ રહ્યું છે.આજે ત્રીજા દિવસે શિવસેનાના વધુ ત્રણ ધારાસભ્ય અને અન્ય એક વ્યક્તિ મુંબઈથી સુરત આવ્યા અને સુરતથી ગુવાહાટી પહોંચી ગયાં છે.સોમવારે રાત્રે મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને શિવસેનાના બળવાખોર ધારાસભ્યના નેતા એકનાથ શિંદે સડક માર્ગે સુરતના ડુમસ રોડની ફાઈવ સ્ટાર હોટલમાં પહોંચી ગયા હતા.એકનાથ શિંદે સાથે 11 ધારાસભ્ય આવ્યા હતા પરંતુ તેઓ સુરત એરપોર્ટ પરથી ગુવાહાટી એર લિફ્ટ થયાં ત્યારે 36 શિવસેનાના અને સાત અપક્ષ ધારાસભ્યો મળી કુલ 41 ધારાસભ્યો હતો.
આ 41 ધારાસભ્યો વાયા સુરત થઈ ગુવાહાટી પહોંચ્યાના બીજા દિવસે પણ મહારાષ્ટ્રથી શિવસેનાના વધુ ત્રણ ધારાસભ્ય મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ સાથે આવ્યા હતા અને રાત્રે તેઓ પણ ગુવાહાટી પહોંચાડી દેવામાં આવ્યા હતા.ગઈકાલે મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ સાથે શિવસેનાના ધારાસભ્ય યોગેશ કદમ,ગોપાલ દલવા અને મંજુલા ગાવિત આવ્યા હતા થોડા કલાકો ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયા હતા અને ત્યાંથી એરપોર્ટથી ગુવાહાટી પહોંચ્યા હતા
સતત બે દિવસ સુધી મહારાષ્ટ્ર સરકારના ધારાસભ્ય મુંબઈથી સુરત આવવાનો સિલસિલો આજે ત્રીજા દિવસે પણ ચાલુ જ રહ્યો છે.ગઈકાલે રાત્રે એક ધારાસભ્ય આવ્યા હતા ત્યાર બાદ આજે સવારે અન્ય બે ધારાસભ્ય અને તેમની સાથે એક વ્યક્તિ આવ્યા હતા.તેઓ પણ સુરત ડુમસ રોડની ફાઈવ સ્ટાર હોટલમાં કલાકો સુધી રોકાયા હતા અને ત્યાર બાદ સદા સરણવરકર,મંગેશ કુદલાકર અને સંજય રાઠોડ અને અન્ય એક વ્યક્તિને ગુવાહાટી મોકલવામાં આવ્યા છે.
ત્રણ ધારાસભ્ય સાથે ચોથો વ્યક્તિ છે તે ધારાસભ્ય છે કે નહી તે અંગે હજી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી પરંતુ પહેલા દિવસે શિવ સેનાના 36,બીજા દિવસે ત્રણ અને ત્રીજા દિવસે ત્રણ મળી કુલ શિવસેનાના 42 ધારાસભ્યો ગુવાહાટી પહોંચ્યા હતા.તેમાંથી એક શિવસેનાના એક ધારાસભ્ય નીતિન દેશમુખ મહારાષ્ટ્ર પાછા ફર્યા છે તેથી શિંદે સાથે હજી પણ શિવસેનાના 41 અને સાત અપક્ષ મળી મહારાષ્ટ્રના 48 ધારાસભ્ય ગુવાહાટી પહોંચ્યા છે.

