ગુજરાતમાં 2જી માર્ચ મંગળવારના રોજ 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીમાં કેસરિયો છવાયો હતો જ્યારે કોંગ્રેસનો સંપૂર્ણપણે સફાયો થઇ ગયો હતો એટલે કે કોંગ્રેસના સૂપડા સાફ થઇ ગયા હતાં.એવામાં વિધાનસભાની પેટાચૂંટણી,મહાનગરપાલિકા બાદ પંચાયતોમાં પણ ભાજપે સતત વિજય હાંસલ કરતા ભાજપે વિજયની હેટ્રિક નોંધાવી છે.શહેરી મતદારોની જેમ ગ્રામિણ મતદારોએ પણ વિકાસની રાજનીતિ પર અંતિમ મહોર મારી હતી.ભાજપે તાલુકા પંચાયતમાં 3236, જિલ્લા પંચાયતમાં 771 અને નગરપાલિકામાં 2027 બેઠકો હાંસલ કરી હતી.
ચૂંટણીઓમાં ભાજપની લહેર સાથે BTP નું અસ્તિત્વ પણ જોખમમાં
એવામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના પરિણામ બાદ છોટુ વસાવાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. છોટુ વસાવાએ નિવેદન આપતા જણાવ્યું કે, ‘આ જીત ભાજપની નહીં પરંતુ EVM ની જીત છે.’ અત્રે નોંધનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપની લહેર સાથે BTP નું અસ્તિત્વ પણ જોખમમાં મૂકાયું છે. BTP એ 3 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સત્તાઓ ગુમાવી છે.
અમિત ચાવડા અને પરેશ ધાનાણીના રાજીનામાં
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં મનપા બાદ જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં પણ કોંગ્રેસનો કારમો પરાજય થતાં અમિત ચાવડાએ કોંગ્રેસ પ્રમુખ પદેથી જ્યારે પરેશ ધાનાણીએ વિધાનસભામાં વિરોધપક્ષના નેતાપદેથી રાજીનામું આપ્યું હતું. જેનો હાઇકમાન્ડે સ્વીકાર કર્યો હતો.
ગુજરાતમાં AAP અને ઓવૈસીની પાર્ટીની એન્ટ્રી ભાજપ માટે પડકારરૂપ
ત્યાર બાદ એવું કહી શકાય કે મનપા તેમજ જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકામાં મોટી હાર બાદ કોંગ્રેસ હવે નવસર્જનના માર્ગે જઇ રહી છે.જો કે,માર્ચના અંત સુધીમાં પાર્ટીમાં કેટલાંક નવા ચહેરાઓ પણ સામે આવી શકે છે.પરંતુ જ્યાં સુધી કોંગ્રેસના નવા પ્રમુખનું નામ જાહેર ન થાય ત્યાં સુધી કાર્યકારી પ્રમુખ તરીકે હાર્દિક પટેલ સંગઠનની જવાબદારી સંભાળી શકે છે.સુરત મનપામાં બેઠકો મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી (AAP) એ પણ જિલ્લા-તાલુકા પંચાયત તેમજ નગરપાલિકામાં પણ પોતાની એન્ટ્રી કરી લીધી છે તો બીજી બાજુ મનપા બાદ પંચાયતની ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીએ પણ ગુજરાતમાં એન્ટ્રી મારી લીધી છે કે જે ભાજપ માટે આવનારા સમયમાં એક પડકારરૂપ સાબિત થઇ શકે છે.