વિભાગના મંત્રી સુધી રજૂઆતો કરાયા બાદ પણ ન્યાય ન મળતા ઇજનેરોમાં રોષ : વિભાગોના વડાઓને સામાન્ય વહીવટ વિભાગ પરિપત્ર કરે તેવી અપેક્ષા
હિંમતનગર
ગુજરાત સરકારના સિંચાઇ વિભાગ નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમાં ફરજ બજાવતા અધિક મદદનીશ ઇજનેરોને ૩૮ વર્ષની નોકરી બાદ પણ બઢતીમાં અન્યાય કરાતા ઇજનેરોમાં ભારે અસંતોષ સાથે રોષની લાગણી પ્રવર્તવા પામી છે. વિભાગના મંત્રી સમક્ષ અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ સચિવાલય કક્ષાના અધિકારીઓની આપખુદશાહીના કારણે રાજયના ઘણા ઇજનેરોને બઢતી મેળવ્યા વિના અન્યાય સહન કરી સેવામાંથી વયનિવૃત્ત થવુ પડયુ હોવાનું આક્રોશ રાજયના અધિક મદદનીશ ઇજનેર મંડળના અગ્રણીએ વ્યકત કર્યો છે અને સામાન્ય વહીવટ વિભાગ દરમિયાનગીરી કરી તમામ વિભાગોના વડાઓને સુચનાઓ સાથેનો પરીપત્ર કરે તેવું રાજયના ઇજનેરો ઇચ્છી રહ્યા છે.
નર્મદા, જળસંપત્તિ, કલ્પસર તથા માર્ગ અને મકાન વિભાગના રાજય અધિક મદદનીશ ઇજનેર મંડળના પ્રમુખ આર.એચ.પટેલે જણાવ્યુ હતું કે અધિક મદદનીશ ઇજનેર-મદદનીશ ઇજનેર કેડરમાંથી નાયબ કાર્યપાલક ઇજનેરમાં બે વર્ષના લાંબા ગાળા અને ફેડરેશનોની રજૂઆત બાદ કુલ ૨૫૦ બઢતીના આદેશો કરાયા હતા. સરકારના વિભાગના તા.૭-૩-૧૯૯૬ ના પરીપત્ર મુજબ મ.ઇ.-અ.મ.ઇ-ઓવરસીયરના ૭:૪:૧ ના રેશિયા મુજબની જોગવાઇ કરવામાં આવી છે તેમ છતાં છેલ્લા ૨૦ વર્ષથી સતત બઢતીના તમામ આદેશોમાં ૫ થી ૨૦ અધિક મદદનીશ ઇજનેરોને અન્યાય કરતા આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે હાલમાં કુલ ૨૫૦ નાયબ કાર્યપાલક ઇજનેરની બઢતીના આદેશો કરેલ છે. જેમાં કુલ ૯૧ અધિક મદદનીશ ઇજનેરોની જગ્યાએ ફકત ૭૧ અધિક મદદનીશ ઇજનેરોને બઢતી અપાઇ છે.
વિભાગના મંત્રી સુધી અવારનવાર રજૂઆતો કરવા છતાં વિભાગના સચિવાલય કક્ષાના અધિકારીઓની આપખુદશાહીને કારણે રાજયના ઘણા ઇજનેરો બઢતી મેળવ્યા વિના અન્યાય સહન કરી સેવામાંથી વયનિવૃત્ત થઇ ગયેલ છે. જેમાં અત્યાર સુધીમાં કુલ ૯૦ ઇજનેરોને આવો અન્યાય થયો છે. ઇજનેર મંડળના અગ્રણીએ વધુમાં જણાવ્યુ હતું કે અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ સરકારમાંથી ન્યાય ન મળતા અધિક મદદનીશ ઇજનેર મંડળને કોર્ટનો આશરો લેવાની ફરજ પડી છે. પરંતુ રાજયની કોર્ટોમાં કેસોનો એટલો બધો ભરાવો થયેલ હોવાથી કેસો બોર્ડ પર આવવામાં ઘણો બધો સમય વ્યતિત થતા ન્યાય મળતા પહેલા કર્મચારી ઇજનેર વયનિવૃત્ત થઇ જાય છે તેવો વસવસો ઠાલવ્યો હતો.