સુરત : તા.23 મે 2022,સોમવાર : ગુજરાતના મુખ્યમંત્રીએ રિવર લિંક પ્રોજેક્ટને રદ થયાની જાહેરાત પછી કોંગ્રેસના આદિવાસી નેતાઓએ પત્રકાર પરિષદ યોજીને જ્યાં સુધી સરકાર આ અંગે શ્વેત પત્ર જાહેર ન કરે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવી ચીમકી ઉચ્ચારી છે.આ યોજના કોંગ્રેસમાં સમય માં બની હતી પરંતુ તે યોગ્ય ન લાગતાં તેને બજેટમાં સમાવેશ કરાયો નહોતો.ભાજપ સરકારે ચૂંટણી આવતા આદિવાસીઓને લોલીપોપ આપવાની કામગીરી કરી છે તેથી તેનો વિરોધ કરવામાં આવશે.આટલું જ નહીં આગામી દિવસોમાં આદિવાસીઓ દ્વારા આ માટે આંદોલન અને રેલી પણ કરવામાં આવશે.પાર તાપી અને નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મેં ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે થયાની જાહેરાત કરી છે.આ જાહેરાત બાદ સુરતમાં કોંગ્રેસના આદિવાસી નેતાઓ ભેગા થયા હતા અને સરકારની આ જાહેરાતને જુઠી ગણાવી હતી.વાંસદાના ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલે કહ્યું હતું કે,કેન્દ્ર સરકારના બજેટમાં યોજના માટે 500 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.આ ઉપરાંત ગુજરાત સરકારના બજેટમાં પણ જોગવાઈ કરવામાં આવી છે.આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી હોવાથી ભાજપના નેતાઓએ આદિવાસીનો રોષ ઠંડો કરવા માટે પ્રોજેક્ટ રદ થયાની જાહેરાત કરી છે.જોકે તેઓ ગુજરાતના મુખ્યમંત્રીની આ જાહેરાતને માનતા નથી અમે આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી છે.તેઓ સ્પષ્ટ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર આ મુદ્દે શ્વેતપત્ર જાહેર કરે પછી જ આંદોલન બંધ કરવામાં આવશે.માજી કેન્દ્રીય મંત્રી ડો.તુષાર ચૌધરીએ કહ્યું હતું કે,વિવર લિંક પ્રોજેક્ટ યોજના કેન્દ્ર સરકારની છે.અને આ યોજના કેન્દ્ર સરકાર જ રદ કરી શકે છે.આ પ્રોજેક્ટને લોકસભા અને રાજ્યસભામાં મંજૂરી આપવામાં આવી છે તેથી હવે તે કાયદો બની ગયો છે.જો આ પ્રોજેક્ટ રદ કરવો હોય તો ફરીથી લોકસભા અને રાજ્યસભામાં તેને લાવીને નિર્ણય કરવો પડે.જેથી મુખ્યમંત્રીની જાહેરાત ને અમે સાચી માનતા નથી.પુનાજી ગામીત અને સુનીલ ગામીતે કહ્યું હતું,આ યોજનાને કારણે 34 હજાર થી વધુ આદિવાસી પરિવારો વિસ્થાપિત થશે.આ ઉપરાંત જંગલો પણ ડુબાણમાં આવશે જેને કારણે અમે વિરોધ કરીએ છીએ અને આગામી દિવસોમાં આ પ્રોજેક્ટ ના વિરોધમાં અમારું આંદોલન ચાલુ જ રહેશે.
આ પ્રોજેક્ટ કોંગ્રેસના શાસન દરમિયાન બન્યો હતો તો હાલ વિરોધ કેમ?તેના જવાબમાં તેઓએ કહ્યું હતું કે કોંગ્રેસે આ યોજના બનાવી હતી તે વાત સાચી છે પરંતુ તેનો અમલ કરવા જાય તો આદિવાસીઓને મોટું નુકસાન થાય એવી રજૂઆતને પગલે આ પ્રોજેક્ટ અટકાવી દેવાયો હતો.પરંતુ હવે ભાજપશાસકો આ પ્રોજેક્ટ કરવા માંગે છે તેથી અમે વિરોધ કરી રહ્યા છે.