વરસાદ ખેંચાતા હવે ગુજરાતમાં દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે.પાક સૂકાઈ રહ્યા છે અને ખેડૂતોની હિંમત તૂટી રહી છે.ત્યારે પહેલી સપ્ટેમ્બરથી રાજ્ય સરકાર અનાવૃષ્ટિ અંગે નિર્ણય કરવા એક્શન મોડમાં આવી છે.વર્તમાન સ્થિતિને જોતા સરકારે રાહત કાર્યોનો સર્વે કરવા જિલ્લા કલેક્ટરને સૂચના આપી છે.હાલ રાજ્યના મોટા ભાગના જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. ત્યારે રાજ્યના 60 જેટલા ડેમમાં પીવાનુ પાણી આરક્ષિત રાખવામાં આવશે.તો દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓમાં મનરેગાનાં કામો હેઠળ રોજગારી આપવાનું આયોજન થઈ શકે છે.
હાલ નર્મદા ડેમમાં પણ 45.40 ટકા પાણીનો જથ્થો છે. નર્મદા ડેમમાં ઓછું પાણી હોવાથી સિંચાઈના પાણીમાં વધુ કાપ આવે તેવી શક્યતા છે.ચોમાસાની શરૂઆતમાં સામાન્ય વરસાદ નોંધાતા ખેડૂતોએ ઉત્સાહભેર વાવણી કરી હતી.પરંતુ મેઘરાજા રિસાતા હાલ પાક નિષ્ફળ જવાના આરે છે.તો કેટલાક જિલ્લાઓમાં તો વાવણી પણ હજુ સુધી થઈ શકી નથી. ત્યારે ખેડૂતોની આર્થિક રીતે કમર તૂટી ગઈ છે.ત્યારે ખેડૂતો પણ માગ કરી રહ્યા છે કે વહેલી તકે સરકાર દુષ્કાળગ્રસ્ત જાહેર કરી રાહત આપી.
વરસાદ ખેંચાતા ખેડૂતોની હિંમત તૂટીને ચકનાચૂર થઈ ગઈ છે.ખેડૂત હતાશ થયો છે.અનેક ખેડૂતો પાયમાલીમાં આવી ગયા છે.ત્યારે આવામાં ખેડૂતો આત્મહત્યાના માર્ગે જાય તેવી ચિંતા સતાવી રહી છે.તેથી પહેલી સપ્ટેમ્બરથી રાજ્યમાં અનાવૃષ્ટિ જાહેર કરવા મામલે નિર્ણય લઈ શકાય છે.રાજ્યમાં વરસાદની ઘટને જોતા રાજ્ય સરકારે જિલ્લા સ્તરે સર્વેની આપી સૂચના આપી છે.ગઇકાલે મુખ્યમંત્રીએ આરસી ફળદુ,ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને કુંવરજી બાવળિયાને આ સ્થિતિનુ નિરીક્ષણ કરવા સૂચના આપી છે.તો બીજી તરફ, રાજ્યમાં હજુ પણ સારા વરસાદની કોઈ આશા નથી.આગામી 4 દિવસ પણ વરસાદની કોઈ શકયતા દેખાતી નથી.હવામાન વિભાગના મતે રાજ્યમાં હાલ સારો વરસાદ આવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી.જો ગુજરાતમાં દુષ્કાળ જાહેર થાય તો અર્થતંત્ર પર મોટી અસર પડી શકે છે.
ગઈકાલે એક નિવેદનમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, ઘણા વર્ષો પછી ગુજરાતમાં ઘણો ઓછો વરસાદ થયો છે.સ્ટોરેજ બેંક પણ વધારવામાં આવી છે.નર્મદા ડેમમાં પણ પાણી ઓછું છે.જિલ્લાઓમાં ઓછો વરસાદ થયો છે.સરદાર સરોવરમાંથી પાણી આપી રહ્યાં છે.પરંતુ હાલ મર્યાદિત પાણી હોવાથી ઓછું પાણી મળી રહ્યું છે. 4 કરોડ નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે, જેની ખાતરી આપું છું.


