સરકારે ઓડિટર્સ પર ડંડો ઝીંક્યો

HM News
4 Min Read

કંપનીની ડિફોલ્ટ, રોકડ ખોટ સહિતની વિગતો ઓડિટર રિપોર્ટમાં આપવાની રહેશે

એજન્સી > નવી દિલ્હી

સરકારે કંપનીઓના ઓડિટર રિપોર્ટ માટેના ડિસ્ક્લોઝર નિયમો આકરા બનાવી દીધા છે. તેને કારણે ઓડિટરોએ કંપનીના લોન ડિફોલ્ટ, રોકડ રકમની ખોટ અને સ્થાવર મિલકતનું નુકસાન અને કંપનીની અન્ય બાબતોની વિગત તેમના વાર્ષિક રિપોર્ટમાં આપવાની રહેશે. તેનો અમલ ચાલુ નાણાકીય વર્ષથી જ કરી દેવાનો રહેશે.કોર્પોરેટ ગવર્નન્સના તાજેતરના અનેક ઘટનાક્રમમાં ઓડિટરોની ભૂમિકા પણ શંકા હેઠળ આવી ગઈ છે ત્યારે કોર્પોરેટ બાબતોના મંત્રાલયે ફ્રેમવર્કમાં સુધારો કર્યો છે જેથી કંપનીઓની નાણાકીય બાબતોમાં વધુ પારદર્શકતા આવશે. મંત્રાલયે આ માટે કંપનીઝ(ઓડિટર્સ રિપોર્ટ) ઓર્ડર, 2020(CARO, 2020) નોટિફાઈડ કરી દીધું છે. લાગુ પડતી કંપનીઓને 1 એપ્રિલ, 2019થી શરૂ થયેલા અને ત્યાર પછીથી શરૂ થતા નાણાકીય વર્ષ માટેના તેમના ફાઈનાન્શિયલ સ્ટેટમેન્ટ્સના ઓડિટ માટે લાગુ થઈ જશે.

મંત્રાલયે બુધવારે આ અંગે જણાવ્યું હતું કે CARO 2020 ઓડિટરોના પક્ષે જે જરૂરી વિગતો જાહેર કરવાની થશે તે સરળ અને અનિવાર્ય બનાવશે. કંપનીઓની નાણાકીય બાબતોમાં તેને કારણે વધુ પારદર્શકતા આવશે. મંત્રાલયે કહ્યું હતું કે જેમ-જેમ પારદર્શકતા વધશે તેમ ભારતીય કંપનીઓમાં રોકાણનો પ્રવાહ આપોઆપ વધતો જશે. SR બાટલીબોઈના પાર્ટનર સંજીવ સિંઘલે કહ્યું હતું કે ઓડિટર્સે અત્યાર સુધી 21 બાબતોનો રિપોર્ટમાં સમાવેશ કરવો પડતો હતો અને હવે નવા નિયમ હેઠળ 50 બાબતોનો સમાવેશ કરવાનો રહેશે. SR બાટલીબોઈ અર્ન્સ્ટ એન્ડ યંગ ગ્લોબલની મેમ્બર ફર્મ છે.

ઓડિટર રિપોર્ટ માટે ચોક્કસ ફોર્મેટ બનાવાયું છે, જેમાં કંપનીએ લોનની પરત ચૂકવણીમાં ડિફોલ્ટ થઈ હોય તો તે અને કેટલી રકમની ચૂકવણીમાં તે ડિફોલ્ટ થઈ છે તેની વિગત તથા અન્ય ઋણ અને વ્યાજની રકમની ચૂકવણી જેવી વિગતો દર્શાવવાની રહેશે. નોંધપાત્ર ઘટનાક્રમમાં મંત્રાલયે કહ્યું છે કે ઓડિટરોએ કંપનીના ઈન્વેસ્ટમેન્ટ(રોકાણ) વિશેની વિગતો પણ આપવાની રહેશે અને આ માટે જરૂરી ગેરેન્ટી કે સિક્યુરિટી અન્ય એન્ટિટીના માથા પર મૂકી દેવાઈ છે કે નહીં તેની વિગત પણ આપવી પડશે. આમ કરવાથી કંપનીના હિતને નુકસાન ન પહોંચે તે રીતે અને કોઈપણ લઘુતાગ્રંથિ કે પક્ષપાત વગર પગલાં લેવાઈ રહ્યા છે તેની ખાતરી થશે. કંપનીએ ચાલુ નાણાકીય વર્ષમાં અને તેની અગાઉના એક વર્ષમાં રોકડ રકમમાં કોઈ નુકસાન કર્યું હશે તો તેની વિગત પણ ઓડિટરોએ જાહેર કરવાની રહેશે.

CARO અનુસાર કંપનીની બેલેન્સ શીટની તારીખે અને તેના એક વર્ષના ગાળામાં કંપની તેની તમામ લાયેબિલિટી(ઋણ સહિતની બાબતો) પૂરી કરવા માટે સક્ષમ છે તે અંગે કોઈ જ અનિશ્ચિતતા નથી તેવો અભિપ્રાય ઓડિટરે આપવાનો રહેશે. નવા નિયમોથી કંપનીઓના ફાઈનાન્શિયલ સ્ટેટમેન્ટ્સનું ઓડિટરો જે પ્રકારે રિપોર્ટિંગ કરે છે તેની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થઈ જશે. ઓડિટરે ઓડિટ દરમિયાન એ વાત પણ ધ્યાનમાં લેવાની રહેશે કે કંપની સામે વર્ષ દરમિયાન કોઈ વ્હીસલ બ્લોઅરે ફરિયાદ કરી છે કે કેમ. આ ઉપરાંત કંપનીએ રિઝર્વ બેન્ક પાસેથી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મેળવ્યા વગર નોન-બેન્કિંગ ફાઈનાન્શિયલ કે હાઉસિંગ ફાઈનાન્સ પ્રવૃત્તિ કરી છે કે કેમ.

રાજીનામું આપનારા કે હાંકી કઢાનારા ઓડિટરોએ જે મુદ્દે ચિંતા દર્શાવી હોય તેને વર્તમાન ઓડિટરે પણ વિચારણા હેઠળ લેવાના રહેશે. કંપની વિલફુલ ડિફોલ્ટર જાહેર થઈ છે કે કેમ તે પણ રિપોર્ટમાં બતાવવું પડશે. ટર્મ લોન અન્ય કોઈ હેતુ માટે ડાઈવર્ટ કરી દેવાઈ છે કે કેમ તેની વિગત પણ આપવી પડશે. કંપની સામે બેનામી સંપત્તિ એક્ટ હેઠળ કોઈ કાર્યવાહી થઈ છે કે કેમ અને ફાઈનાન્શિયલ સ્ટેટમેન્ટ્સમાં વિગત આપવામાં આવી છે કે કેમ તેનો પણ ફોડ પાડવાનો રહેશે. ફિઝિકલ વેરિફિકેશન દરમિયાન દરેક પ્રકારની ઈન્વેન્ટરીમાં 10 ટકાથી વધુનો તફાવત માલૂમ પડે તો પણ ઓડિટરોએ રિપોર્ટમાં દર્શાવવું પડશે. કંપનીને ચોક્કસ વર્ષમાં ~5 કરોડથી વધુની વર્કિંગ કેપિટલ મંજૂર કરવામાં આવી છે કે કેમ તે પણ જોવાનું રહેશે. કોન્સોલિડેટેડ ફાઈનાન્શિયલ સ્ટેટમેન્ટ્સમાં સબસિડરી કંપનીઓની વિગતો પણ આપવાની રહેશે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *