– રોજની 12 જેટલી બસો યુપી બિહાર તરફ રવાના થઇ રહી છે
કોર્પોરેટર દ્વારા હિજરત કરતા લોકોને સમજાવવા પ્રયાસ
સુરત : કોરોનાનો ભય હવે સમગ્ર સુરત શહેરમાં ફેલાઈ ગયો છે જે રીતે રાજ્ય સરકાર અને કોર્પોરેશન દ્વારા રોજ નવા-નવા પ્રતિબંધો જાહેર કરવામાં આવી રહ્યા છે તેને લઈને સ્વાભાવિક રીતે જ લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે.સુરતમાં રોજના વધતા કોરોના કેસના કારણે લોકોમાં લોકડાઉનનો ડર સતાવી રહ્યો છે.જેને પગલે મોટાપાયે સુરત શહેરથી હિજરત થવાનું શરૂ થઇ ગયું છે.પરપ્રાંતિયો તેમના પરિવારના સભ્યો સાથે ધરવખરી લઈને યુપી-બિહાર તરફ જવાનું ધીરે-ધીરે શરૂ કર્યું છે.જેને પગલે સ્થાનિક કોર્પોરેટરો દ્વારા પણ હિજરત કરતા લોકોને રોકવાનો અને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સુરતમાં છેલ્લા 20 દિવસમાં જે રીતે કોરોના નો પ્રકોપ જોવા મળી રહ્યો છે તેના કારણે લોકડાઉન કરવાની ફરજ પડે તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે.રાત્રે કર્ફ્યૂના સમયમાં વધારો કરવામાં આવ્યો છે.ડાયમંડ અને ટેકસટાઇલ માર્કેટ અને શોપિંગ મોલો શનિવારે અને રવિવારે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.રાજ્ય સરકાર દ્વારા પણ સમગ્ર રાજ્યમાં સ્થિતિને ગંભીર બતાવી રહી છે ત્યારે પરપ્રાંતિય લોકોને લાગે છે કે, સરકાર એકાએક લોકડાઉન જાહેર કરી શકે છે અને તેવા સમયમાં રોજગારીનો મોટો પ્રશ્ન સર્જાય શકે છે.ડીંડોલી, ગોડાદરા, ઉધના,પાંડેસરા વિસ્તારમાંથી લોકો બસ દ્વારા પોતાના માદરે વતન જવા માટે ઉમટી પડ્યા છે.
સુરતમાં ટેસ્ટ સહિતના અનેક મોટા ઔદ્યોગિક એકમોમાં દેશના વિવિધ રાજ્યોમાંથી રોજગારી મેળવવા માટે લાખોની સંખ્યામાં લોકો સુરતમાં રહે છે.એક વર્ષ પૂર્વે લોકડાઉનના સમયે પરપ્રાંતિયોની સ્થિતિ ખૂબ જ દયનીય થઈ હતી.તેઓ પોતાના માદરે વતન જવા માટે ભારે હાલાકી ભોગવવી પડી હતી.હાલ લોકડાઉન લાગી જશે એવી વાતો વહેતી થતાંની સાથે જ સુરતના ડીંડોલી,ગોડાદરા,ઉધના,પાંડેસરા વિસ્તારમાંથી લોકો બસ દ્વારા પોતાના માદરે વતન જવા માટે ઉમટી પડ્યા છે.
યુપી-બિહાર તરફ જતી બસોની સંખ્યામાં વધારો
સામાન્ય દિવસોમાં યુપી-બિહાર તરફ જતી બસોની સંખ્યા હતી તેમાં વધારો થઈ રહ્યો છે. લોકો પોતાનો માલ સામાન લઈને પરિવારજનો સાથે બસ મારફતે પોતાના ઘરે પહોંચી જવા માટે પ્રયાસ કરી રહ્યા છે.જો લોકડાઉન જાહેર થઈ જાય તો તેઓ પોતાના ઘરે જઈ ન શકે એ પ્રકારનો ડર તેમને સતાવી રહ્યો છે. રોજની દસથી બાર જેટલી બસો યુપી બિહાર તરફ રવાના થઇ રહી છે.
પોલીસ-નેતાઓએ અપીલ કરી
શહેરભરમાં લોકડાઉનને લઇને સાંસદ સી.આર.પાટીલ દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી હતી કે કોઈએ ડરવાની જરૂર નથી,સરકાર લોકડાઉનની જાહેરાત કરી શકે તેવી શક્યતાઓ નથી.જોકે સી.આર.પાટીલે કરેલી અપીલ બાદ પણ પરપ્રાંતિયો પોતાના માદરે વતન જઈ રહ્યા છે.સ્થાનિક કોર્પોરેટરો દ્વારા પણ હિજરત કરતા લોકોને રોકવાનો અને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.આ ઉપરાંત પોલીસ કમિશનર અજય તોમર અને તંત્રએ પણ અપીલ કરી છે કે,લોકડાઉન અફવા છે એટલે તમે વતન ના જાઓ.પરંતુ કોરોના સંક્રમણનો એક પ્રકારે વિસ્ફોટ સુરત શહેરમાં થવાથી લોકોની શંકા પ્રબળ બની છે.


