। ગાંધીનગર ।
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમા સારવાર માટે આવેલો કોરોનાનો શંકાસ્પદ દર્દી ભાગી જતા આરોગ્ય તંત્ર દોડતુ થઇ ગયુ હતું. આ દર્દી ગઇકાલે દહેગાના લિહોડા ખાતે આવ્યો હતો જ્યાંથી તે સારવાર માટે રખિયાલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ગયો હતો. ડોક્ટરે તેને શરદી, ખાંસી, શ્વાસ લેવામાં પડતી તકલીફના કારણે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. આરોગ્યની ટીમે આ દર્દીના સરસપુર ખાતે સંપર્કમાં આવેલા ચાર વ્યક્તિઓને ક્વોરન્ટીન કર્યા છે અને લિહોડા ખાતે સધન સર્વેલન્સ હાથધર્યુ છે.
આરોગ્ય તંત્રની પ્રાથમિક તપાસમાં આ વ્યક્તિ ગઇકાલે અમદાવાદના સરસપુરથી દહેગામના લિહોડા ગામે આવ્યો હતો. તેને શરદી, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ હતી. ત્યારબાદ તે સારવાર માટે રખિયાલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગયો હતો. પ્રાથમિક તપાસ બાદ સામુહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરે તેને તાત્કાલીક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત ગાંધીનગર સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. અહિ તેની સારવાર ચાલી રહી હતી કેટલીક તપાસ પણ કરાવવામાં આવી હતી. આ દરમિયાન તે હોસ્પિટલમાંથી સરકી ગયો હતો. દર્દી ભાગી જતા આરોગ્યની ટીમે તેના સરનામાના આધારે અમદાવાદ આરોગ્યની ટીમને જાણ કરી હતી.આ દર્દી લિહોડા રોકાયો હોય આરોગ્યની આઠ ટીમો દ્વારા લીહોડા ગામે સર્વેલન્સ કરવામાં આવ્યુ હતું.
૧૩૧ ઘરોની ૭૫૩ વ્યક્તિઓનું સ્ક્રિનીંગ કરવામાં આવ્યુ હતું. જેમાં શરદી ખાંસી અને શ્વાસની તકલીફ હોય તેવા કોઇ દર્દી મળી નહી આવતા તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો. બીજીતરફ આરોગ્યની ટીમ દ્વારા અમદાવાદ સરસપુર ખાતેના વ્યક્તિઓના સંપર્કમાં આવેલા ચાર વ્યક્તિઓને પણ હોમક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. તેઓના ઘરની બહાર લાલ સાવધના બોર્ડ લ ગાવી દઇ ખાસ સુચના પણ આપી દેવામાં અવી છે.