મુંબઈ : સાઉથ ઈન્ડિયાની જાણીતી હિરોઈન સાઈ પલ્લવીએ કાશ્મીરી પંડિતોની સામૂહિક કત્લેઆમ તથા ગૌવંશની હેરાફેરી માટે થતાં મોબ લિચિંગને એકસમાન ગણાવતાં ભારે વિવાદ સર્જાયો છે.સોશિયલ મીડિયામાં લોકોએ આકરા શબ્દોમાં તેની ઝાટકણી કાઢી હતી.સાઈ પોતાની આગામી ફિલ્મમાં એક નક્સલવાદીની પ્રેયસીનો રોલ કરી રહી છે.એક ઈન્ટરવ્યૂ દરમિયાન નક્સલવાદી હંસા અંગે તે શું માને છે તેવા પ્રશ્નના જવાબમાં સાઈએ ભાંગરો વાટયો હતો.
સાઈનું કહેવું હતું કે હિંસા કોઈપણ સ્વરુપે ખોટી છે.તે પોતાની વાત પહોંચાડવાનો ઉચિત માર્ગ ન જ હોઈ શકે.પરંતુ,છેવટે સૌના દૃષ્ટિકોણ અલગ અલગ હોઈ શકે છે.નક્સલવાદીઓને કદાચ આ જ માર્ગે ન્યાયની આશા હોય તેવું બની શકે છે.આ જ વાતને આગળ ધપાવતાં તેણે કહ્યું હતું કે આપણા દૃષ્ટિકોણથી પાકિસ્તાની સૈન્ય આતંકી છે પરંતુ પાકિસ્તાનીઓના દૃષ્ટિકોણથી આપણું સૈન્ય પણ આતંકી હોઈ શકે છે.સાઈને કાશ્મીર ફાઈલ્સ વિશે પૂછાતાં તેણે કહ્યું હતું કે તેમાં કાશ્મીરી પંડિતોની સામૂહિક કત્લેઆમ દર્શાવાઈ છે.પરંતુ,તાજેતરમાં ગૌવંશની હેરાફેરી કરતા લોકો પર હુમલાના બનાવ બન્યા છે.ધર્મના નામે થતી આ બંને પ્રકારની હિંસા એકસરખી જ ઘટનાઓ છે.
સાઈનો આ વીડિયો વાયરલ થતાં ભારે આક્રોશ ફેલાયો હતો.કેટલાક કાશ્મીરી પંડિતોએ જણાવ્યું હતું કે સાઈને અમારા પર શું વીતી છે તેની કલ્પના જ નથી.તેણે અમારી આશ્રય છાવણીઓની મુલાકાત લઈ હકીકત જાણવી જોઈએ.બીજી તરફ અભિનેત્રી અને પોલિટિશન દિવ્યા સ્પદંનાએ સાઈના નિવેદનનો બચાવ કર્યો હતો.સાઉથની બહુ જાણીતી હિરોઈન સાઈ શ્યામ સિંઘ રોય નામની તેની ફિલ્મ ઓટીટી પર આવ્યા પછી હિંદી દર્શકોમાં પણ પ્રસિદ્ધ બની છે.