નવી દિલ્હી,તા.1 મે 2022 : સાઉદી અરબમાં પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ અને તેમના પ્રતિનિધિમંડળ સામે નારા લગાવવાના મામલામાં પૂર્વ પીએમ ઈમરાન ખાન અને 150ની સામે પંજાબ પોલીસે કેસ દાખલ કર્યો છે.તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ થયો હતો.જેમાં દેખાતુ હતુ કે, શાહબાઝ શરીફ પોતાના પ્રતિનિધિ મંડળ સાથે મદીના ગયા હતા ત્યારે કેટલાક પાકિસ્તાની નાગરિકોએ તેમની સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો.તેમની સામે ટોળાએ ચોર..ચોર..નારા લગાવ્યા હતા.આ સંદર્ભમાં મદીના પાંચ લોકોની ધરપકડ કરી હતી.જોકે હવે પાકિસ્તાનમાં પંજાબ પોલીસે આ કેસમાં 150 લોકો સામે કેસ કર્યો છે.જેમાં પૂર્વ મંત્રી ફવાદ ચૌધરી, શેખ રાશીદ સહિતના નેતાઓનો સમાવેશ થાય છે.અધિકારીઓનુ કહેવુ છે કે, સ્થાનિક રહેવાસી નઈમ ભટ્ટે આ ફરિયાદ નોંધાવી છે અને તેમાં મદીનામાં મસ્જિદને અપવિત્ર કરવાનો અને ગુંડાગર્દી કરવાનો અને મુસ્લિમોની લાગણી દુભાવવાનો આરોપ લગાવાયો છે.નારા લગાવનારા સમર્થકોને ઈમરાનખાન દ્વારા જ સાઉદી અરબ મોકલવામાં આવ્યા હતા.


