જામનગર, 29 માર્ચ 2023, બુધવાર : જામનગર સહીત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં બીમારી દુર કરવાના અને ધનપ્રાપ્તિની લાલચ આપી અને લોકો પાસે નાણા અને સોના ચાંદીના દાગીના પડાવી લેતી ગેંગ જે સાધુ જેવા કપડા ધારણ કરીને ફરતી હતી તે મદારી ગેંગના ચાર ઇસમોને જામનગર એલસીબીએ ઝડપી પાડ્યા છે.આ પ્રકારના ઘણા ગુનાઓ આ શખ્સો દ્વારા આચરવામાં આવી રહ્યા હતા જોકે કોઈ તેમની સામે ફરિયાદ કરવાની હિંમત કરતું ન હતું.કારણ કે લોકોને સમાજમાં પોતાની કહેવાતી ઈજ્જતને નુકસાન થતું હોવાનું લાગતું હતું.લોકો માનતા હતા કે સાધુ-બાબા છેતરી ગયા તેવું લોકો સામે આવી જશે તો પોતાની કહેવાતી સામાજીક ઈજ્જતને નુકસાન થશે.જોકે આ મામલામાં સરપંચે આ પ્રકારની કોઈ બાબતો પર ધ્યાન ન આપીને હિંમત કરીને તેમની સામે ફરિયાદ કરતા પોલીસે એક્શન લઈ લીધી છે.અને ગેંગના 4 શખ્સોને ઝડપી પાડ્યા છે.કેવી રીતે લોકો પાસેથી મદારી ગેંગના શખ્સો ખંખેરતા રૂપિયા ? આવો જોઈએ આ ખાસ અહેવાલમાં.
ધનપ્રાપ્તિ-બીમારીઓથી મુક્ત કરવાની આપતા લાલચ
થોડા દિવસો પૂર્વે મદારી ગેંગે જામનગર જિલ્લાના જામજોધપુરમાં ગીંગણી ગામના સરપંચ રમેશભાઇ હંસરાજભાઇ કાલરીયાને વાતોમાં ભોળવી વિશ્વાસમાં લીધા હતા.બાદમાં બીમારીઓ દુર કરવાના તેમજ ધનપ્રાપ્તિની લાલચ આપી રોકડ તથા સોનાના દાગીના મળી રૂ.1,28,74,500/- ની છેતરપીંડી,લૂંટ આચરી હતી.જે અંગે ફરિયાદી દ્વારા જામજોધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને શોધવા કાર્યવાહી શરૂ કરી હતી.જે દરમિયાન જામનગર LCBને આ ગેંગની બાતમી મળી હતી.આ મદારી ગેંગના શખ્સો લાલપુર-જામનગર તરફ જઈ રહ્યા હતા.ત્યારે LCBની ટીમે દરેડ ખોડિયાર માતાજીના મંદિર પાસેથી મદારી ગેંગના ચાર શખ્સોને દબોચી લીધા હતા.
બે ફરાર શખ્સોની શોધમાં પોલીસ
જામનગર LCBના હાથે “મદારી ગેંગ” ઝડપાઈ ગયા બાદ આરોપીઓ પોલીસ સમક્ષ પોપટ બન્યા હતા અને રાજ્યના જુદા જુદા શહેરોમાં આ ગેંગે આવા 15 ગુન્હાઓ આચર્યાનું કબુલ્યું હતું.મદારી ગેંગના સાધુ વેશધારી ઇસમો પાસેથી પોલીસે ઇકો કાર નંબર GJ-13 AR-7675, મોબાઈલ ફોન,તેમજ સોનાના દાગીના અને રોકડ કબ્જે કરી હતી અને આ મદારી ગેંગના બે ફરાર શખ્સોને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા છે.
કોણ છે આરોપીઓ
– ધારનાથ જવરનાથ સૉલંકી (મદારી) રહે. ભોજપરા મદારી વસાહત તા. વાકાનેર જી. મોરબી
– રૂમાલનાથ સુરમનાથ પરમાર (મદારી) રહે. ભોજપરા તા.વાકાનેર જી.મોરબી
– જોગનાથ કાળુનાથ પરમાર (મદારી) રહે, ભોજપરા તા.વાકાનેર જી. મોરબી
– વિજય જવરનાથ સોલંકી (મદારી) રહે. ભોજપરા તા.વાકાનેર જી.મોરબી
ફરાર આરોપીઓ કોણ
– બહાદુરનાથ સુરેમનાથ પરમાર રહે. ભોજપરા તા. વાકાનેર જી. મોરબી
– જાલમનાય વિરમનાથ પરમાર રહે. ભોજપરા તા. વાકાનેર, જી. મોરબી
આ રીતે મદારી ગેંગના શખ્સો આચરતા ગુન્હાઓ
ઝડપાયેલા ચારેય આરોપીઓ સાધુના ભગવા કપડા પહેરી વેશધારણ કરી,જેમાં ચાર પૈકી એક ઇસમ ગુરૂ મહારાજ બની,દિગંબર અવસ્થા ધારણ કરી,ફરીયાદીના ગામે આવતા અને રૂદ્રાક્ની માળા આપી,પરિવારમાં બિમારીઓ દુર કરી આપવાનું બહાનુ તથા કરોડો રૂપીયા બનાવી આપવાનો વિશ્વાસ અને ભરોસો આપતા હતા.ધાર્મિક વિધિ ધૂપ તથા પુજા કરવાથી ધન પ્રાપ્તી થશે તેમજ બીમારી દૂર થશે તેમ કહી ફરિયાદીને ચમત્કાર બતાવતા.પાછું આ ધૂપ ખાસ છે, 1 લાખ રૂપિયે માંડ મળે છે.લાખો રૂપીયા બતાવી વિશ્વાસમાં લઈ અલગ અલગ સ્થળે બોલાવતા અને ધુપની શીશી આપી એક પતરાની પેટીમાં કરોડો રૂપીયા ભરી આપી,પેટીને ધૂપ આપવા જણાવી છેતરપીંડી કરતા.ત્યાર બાદ વધુ પૈસા ફરીયાદી પાસે માગતા અને વધુ પૈસા ન થતા ફરિયાદી ને માર મારી લૂંટ ચલાવતા હતા.સાધુના વેશમાં ચમત્કાર બતાવવાનો નાટક કરતી મદારી ગેંગના ચાર શખ્સો આખરે પોલીસ પાંજરે પુરાઈ ગયા છે.અને ફરાર અન્ય બે શખ્સોને પણ દબોચી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.