સાપુતારા : સાપુતારા માલેગામ ઘાટમાર્ગ માં ધસી પડેલ ભેખડ ખસેડવા તંત્રને સફળતા મળી છે,પરંતુ માર્ગ ડેમેજ થતા હજી 2 દિવસ સુધી વાહન વ્યવહાર બંધ રાખવાનો નિર્ણય પ્રવાસી ઓની સુરક્ષાને ધ્યાને રાખી હાઇવે ઓથોરિટી એ નિર્ણય લીધો છે.
મળતી માહિતી મુજબ સાપુતારા માલેગામ ઘાટમાર્ગ માં ભેખડ,તોતિંગ વૃક્ષો,પથ્થર ની શીલાઓ ધસી પડતા ત્રણ દિવસ વાહન વ્યવહાર ઠપ્પ થઈ જવા પામ્યું હતું.સતત ધોધમાર વરસાદ અને ગાઢ ધુમ્મસ ને પગલે કાટમાળ હટાવવા તંત્રને કસરત કરવી પડી હતી.નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા એક હિટાચી અને ત્રણ જેસીબી મશીન કામે લગાડતાં ત્રીજા દિવસે કાટમાળ ખસેડવા સફળ રહ્યા હતા.જોકે હાઇવે ઓથોરિટી દ્વારા પ્રિમોન્સૂન કામગીરી કરી ન હોય ચોમાસામાં વરસાદી પાણી ના નિકાલ ની કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતા ભેખડો ધસી હોવાનું જાણવા મળ્યું છૅ.
અલબત કારણ ભલે જે કઈ હોય પરંતુ નેશનલ હાઇવે ઓથોરિટી ની ગંભીર બેદરકારી ને પગલે સતત વાહન વ્યવહાર થી ધમધમતો સાપુતારા માર્ગ ત્રણ દિવસ થી બંધ રહેતા હોટલ ઉદ્યોગ સહીત ટ્રાન્સપોર્ટ ને વ્યાપક નુકસાન થયું છૅ.અત્રે ઉલ્લેખનીય છેકે સાપુતારા ઘાટ માર્ગમાં વારંવાર અકસ્માતો ની ઘટના અને માર્ગ ઉપર સરક્ષણ દીવાલ કે વરસાદી પાણી ના નિકાલ માટે અવારનવાર અખબારોમાં અહેવાલ છપાયા હોવા છતાં હાઇવે ઓથોરિટી ના જાડી ચામડી ધરાવતા કાર્યપાલક ઈજનેર ના ધ્યાને આવ્યું નથી,જેના પરિણામે સાપુતારા થી આહવા,થઈ મહાલ,સોનગઢ જતો માર્ગ વાહન ચાલકો માટે ભયજનક બની જવા પામ્યો છૅ.