– ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ માટે એમ્બ્યુલન્સ આર્શીવાદરૂપ- સી.આર.પાટીલ
– ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલની ગ્રાન્ટમાંથી હોસ્પિટલને એમ્બ્યુલન્સ સહાય
સાંધીએર,તા-29 : ઓલપાડ તાલુકાના સાયણ મુકામે કોરોના સહિત અન્ય રોગના દર્દીઓને રાહત દરે આરોગ્યની સેવા કરતી જીવનરક્ષા હોસ્પિટલમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે એમ્બ્યુલન્સનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું.
વિગત મુજબ ઓલપાડ તાલુકામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે.જેના પગલે કોરોનાગ્રસ્ત અનેક લોકો પોતાનો જીવ પણ ગુમાવી રહ્યા છે.જયારે હાલમાં રોજિંદા સંખ્યાબંધ કોરોના સંક્રમણના કેસો વધતા ઓલપાડ તાલુકામાં એક માત્ર કોરોનાની સારવાર કરતી સાયણની જીવનરક્ષા કોવિડ હોસ્પિટલ કોરોના દર્દીઓથી ઉભરાઈ ગઈ છે.જેના પગલે કોરોના દર્દીઓને વધુ સારવાર અર્થે સુરત ખસેડવા હોસ્પિટલને એમ્બ્યુલન્સની જરૂર હોવાની રજુઆત હોસ્પિટલના ચેરમેન રાકેશ પટેલે ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલની કરી હતી.જો કે ધારાસભ્ય મુકેશ પટેલે અગાઉ સરકારમાં રજુઆત કરી 9 વેન્ટિલેટરની સહાય કરી હતી.જયારે આ હોસ્પિટલને નવી એમ્બ્યુલન્સ ખરીદવા તેમના ફંડમાંથી રૂપિયા 12 લાખની ગ્રાન્ટ ફાળવતા આજે નવી એમ્બ્યુલન્સનું લોકાપર્ણ ગુ.પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સી.આર.પાટીલે એમ્બ્યુલન્સ લોકાપર્ણ કરી ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલને અભિનંદન આપતા જણાવ્યું કે તેમણે કોરોનાકાળમાં સમય સૂચકતા વાપરી ફાળવેલ એમ્બ્યુલન્સ આ વિસ્તારની પ્રજા માટે આર્શીવાદરૂપ બનશે.તેમણે ઓલપાડ તાલુકાની પ્રજાને સરકારની કોરોના ગાઈડ લાઈનનું પાલન કરવા સહિત કોરોના વેક્સીનનું રસીકરણ કરાવવા અપીલ કરી હતી. આ પ્રસંગે ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલે હોસ્પિટલની જરૂરિયાત મુજબ વધુ અનુદાન આપવાની ખાત્રી આપી તાલુકાની પ્રજાને કોરોના સામે લડવા સહકાર આપવાની અપીલ કરી હતી.આ પ્રંસગે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદિપ દેસાઈ,સાયણ સુગરના ચેરમેન રાકેશ પટેલ તથા જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.