અમદાવાદ : થલતેજના વેપારીને ધમકાવવાના કેસમાં હાઇકોર્ટના સિનિયર એડવોકેટ આઇ.એચ.સૈયદને સેશન્સ કોર્ટ બાદ હવે હાઇકોર્ટે પણ ઝટકો આપતા તેમના વિરૂદ્ધની ફરિયાદ રદ કરવાનો હાઇકોર્ટના જસ્ટિસ સમીર જે.દવેએ ઇનકાર કર્યો છે.જસ્ટિસ દવેએ ચુકાદામાં નોંધ્યું છે કે,‘પ્રસ્તુત કેસમાં CRPCની કલમ 482 અન્વયે ફરિયાદને રદ કરવાનો કોઇ પણ કેસ બનતો નથી.કોઇ પણ કેસમાં જ્યાં સુધી ફરિયાદમાં કરેલા આક્ષેપોની પોલીસ કે તપાસ એજન્સી દ્વારા તપાસ ન કરવામાં આવે ત્યાં સુધી કલમ 482 અન્વયે FIR રદ કરી શકાય નહીં.આ તબક્કે નોંધવું રહ્યું કે,અરજદાર સહિતના આરોપીઓ તપાસમાં સહકાર પણ આપી રહ્યા નથી.તે ઉપરાંત સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે,જો FIR વાચવાથી જ કોઇ કેસ બનતો ન જણાય તો તે સિવાયના કેસોમાં CRPCની કલમ 482 હેઠળની સત્તાનો ઉપયોગ કરી હાઇકોર્ટ ફરિયાદ રદ કરી શકે નહીં.ઉક્ત કારણોસર ક્વોશિંગ પિટિશન રદ કરવામાં આવે છે.’
જસ્ટિસ સમીર જે.દવેએ ચુકાદામાં એમ પણ નોંધ્યું છે કે,‘જો તપાસના અંતે એવું જણાય કે અરજદારે કોઇ ગુનો કર્યો છે તો તેમની વિરૂદ્ધ ચાર્જશીટ કરવામાં આવે અને અરજદાર પણ કાયદા મુજબની કાર્યવાહી કરી શકે છે.બીજી તરફ જો અરજદારે કોઇ ગુનો કર્યાનું તપાસના અંતે સામે ન આવે તો તપાસ અધિકારીએ ક્લોઝર રિપોર્ટ ફાઇલ કરવામાં રહેશે અને તે રિપોર્ટને સંબંધિત કોર્ટે કાયદા મુજબ ધ્યાને લેવાનો રહેશે,પરંતુ હાલના તબક્કે ફરિયાદ રદ કરી શકાય તેમ નથી.’હાઇકોર્ટે ચુકાદામાં નોંધ્યું છે કે,‘સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદા આ બાબતને સ્પષ્ટ કરે છે અને એના આધારે હાઇકોર્ટનું મંતવ્ય છે કે ચાર્જશીટ ફાઇલ થયા પહેલા મેજિસ્ટ્રેટ કે ક્રિમીનલ કોર્ટ સમક્ષ કોઇ પણ પ્રકારનું મટિરિયલ હોતું નથી અને તેથી CRPCની કલમ 482 હેઠળની ક્વોશિંગ પિટિશન એન્ટરટેઇન કરી શકાય નહીં.