– જુન-2019થી જીએસટી3-બી રીટર્ન કે ચુકવવા પાત્ર થતાં જીએસટી ભર્યા વિના જ ધંધો બંધ કરવાની પેરવીમાં હતા
સુરત,તા.24 જુલાઈ : સુરત DGGIની ટીમે સિલ્વાસાની મે.પ્રિન્સ એસ. ડબલ્યુ. આર. સિસ્ટમ પ્રા.લિ.ના સંચાલકોના ત્રણ ધંધાકીય સ્થળો પર તપાસ હાથ ધરીને છેલ્લાં એકાદ વર્ષથી ચુકવવા પાત્ર જીએસટી નહીં ભરીને કુલ રૃ.7.75 કરોડની ચોરી ઝડપી પાડી છે.જે પૈકી સ્થળ પર 4.73 કરોડની ટેક્સ વસુલાત કરવામાં આવી છે.જ્યારે અન્ય એક મે.જેમિની એન્જિનિયરીંગ કંપનીની રૃ.3.86 કરોડની જીએસટી ચોરી ઝડપીને સ્થળ પરથી રૃ.1.89 કરોડની વસુલાત કરી છે.
સુરત ડીરેકટોરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટેલિઝન્સ (ડીજીજીઆઈ) ની ટીમે બાતમીના આધારે આજે સંઘપ્રદેશ સિલ્વાસા ખાતે આવેલી મે.પ્રિન્સ એસ.ડબલ્યુ. આર. સિસ્ટમ પ્રા.લિ.ના ત્રણ ધંધાકીય સ્થળો પર તપાસ હાથ ધરી હતી.જે દરમિયાન કબજે કરવામાં આવેલા થોકબંધ હિસાબી દસ્તાવેજોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.જે દરમિયાન કંપનીના સંચાલકો દ્વારા જુન-2019થી જીએસટીઆર-૩બી રીટર્ન નહીં ભરીને કુલ રૃ.7.75 કરોડ ની જીએસટી ચોરી કરી હોવાનું ખુલવા પામ્યું હતુ.જે અંગે કંપનીના જનરલ મેનેજરે પણ પોતાના નિવેદનમાં જવાબદારીનો સ્વીકાર કરી સ્વૈચ્છિક રીતે 4.73 કરોડ સ્થળ પર જ ચુકવી દીધા હતા.જ્યારે બાકી રહેતા ટેક્ષની જવાબદારી ટુંક સમયમાં ચુકવવાની બાંહેધરી આપી છે.
અત્રે નોંધનીય છે કે કંપનીના સંચાલકો દ્વારા છેલ્લાં એકાદ વર્ષથી પ્રોડકશન તથા માલની સપ્લાય બંધ કરીને ચુકવવા પાત્ર બાકી ટેક્ષની જવાબદારી સાથે ધંધો સમેટી લેવાની ફિરાકમાં હતા.
DGGIની ટીમે વધુ મે.જેમિની એન્જિનિયરીંગ ફેબ લિ.ના ધંધાકીય સ્થળો પર પણ તપાસ હાથ ધરી છે.આ કંપનીના સંચાલકો દ્વારા પોતાના ગ્રાહકો પાસેથી જીએસટી ની વસુલાત કર્યા બાદ વિભાગમાં જમા નહીં કરાવી હોવાનું બહાર આવ્યું હતુ.જેથી કંપનીના ધંધાકીય સ્થળો પરથી કબજે કરવામાં આવેલા વાંધાજનક હિસાબી દસ્તાવેજોના પ્રારંભિક ચકાસણી દરમિયાન કુલ રૃ3.86 કરોડની જીએસટી ચોરી કરી હોવાનું ખુલ્યું છે.જેથી કંપનીના સંચાલકોએ પોતાની ટેક્ષ જવાબદારીનો સ્વીકાર કરીને 1.89 કરોડ સ્થળ પર જ વિભાગમાં જમા કરાવીને બાકીની રકમ આગામી દિવસોમાં ચુકવવા બાંહેધરી આપી છે.