અમદાવાદ : સિવિલ હોસ્પિટલમાં જુનિયર ડોક્ટરોની હડતાળના ૧૦માં દિવસે યથાવત્ રહી છે અને જેના કારણે દર્દીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.જુનિયર ડોક્ટરોની હડતાળને પગલે છેલ્લા ૧૦ દિવસમાં ૬૦૦થી વધુ ઓપરેશન રદ કરવા પડયા છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર અસારવા સિવિલ હોસ્પિટલમાં સામાન્ય રીતે દરરોજના ૧૨૦ થી ૧૪૦ ઓપરેશન થતાં હોય છે.જેની સરખામણીએ જુનિયર ડોક્ટરોની હડતાળને પગલે દરરોજના સરેરાશ માંડ ૮૦ જેટલા ઓપરેશન થઇ શકે છે.ઈમરજન્સી ઓપરેશનમાં પણ ૮ થી ૧૨ કલાકનું વેઇટિંગ છે.પ્લાન્ડ ઓપરેશનમાં વેઇટિંગને પગલે અનેક દર્દીઓ હાલમાં સોલા સિવિલ અને એસવીપીમાં દાખલ થઇ રહ્યા છે. જુનિયર ડોક્ટરોની હડતાળને પગલે ૯૦ મેડિકલ ઓફિસરની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.આમ છતાં ઓપીડીમાં લાંબી લાઇનો યથાવત્ છે.
સામાન્ય દિવસોની સરખામણીએ દર્દીઓનો ઓપીડીમાં ૧ થી દોઢ કલાક વધુ સમય જાય છે.આ ઉપરાંત દર્દીઓના વોર્ડમાં એચઓડીનો રાઉન્ડ લેવા પડી રહ્યા છે.સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.રાકેશ જોશીએ જણાવ્યું કે,ગુરુવારે કુલ ૮૪ જ્યારે આજે સવારથી સાંજમાં કુલ ૩૯ સર્જરી કરવામાં આવી છે.૧૫ એનેસ્થેટિસ્ટ જોડાઇ જતાં ઓપરેશનના પ્રમાણમાં વધારો થવાનો અમને આશાવાદ છે.દર્દીઓને સમસ્યા નડે નહીં તેના માટે પૂરતાં પગલાં લેવામાં આવી રહ્યા છે.દર્દીઓને તકલીફ ન પડે માટે સતત મોનિટરિંગ ચાલુ છે.નોન ક્લિનિકલ સ્ટાફમાંથી ૫૬ને ક્લિનિકલ પોસ્ટિંગ પણ આપવવામાં આવ્યું છે.દરમિયાન જુનિયર ડોક્ટરોની હડતાળના મુદ્દે સરકારના આરોગ્ય વિભાગમાં બેઠકોનો ધમધમાટ વધી ગયો છે.
આરોગ્ય રાજ્યમંત્રી દ્વારા ગાંધીનગર-ગોધરા ખાતેના જુનિયર ડોક્ટર એસોસિયેશનના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી.જેમાં તેમના વિવિધ પ્રશ્નો-રજૂઆત સાંભળ્યા હતા અને તેમને સેવામાં ફરી જોડાઇ જવા અનુરોધ કર્યો હતો.