ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ કોરોના પોઝીટીવ જાહેર થતા જ એક નવો વિવાદ છેડાયો છે અને તેઓએ જે રીતે રાજયમાં સૌરાષ્ટ્ર-દક્ષિણ અને ઉતર ગુજરાતમાં યાત્રામાં યોજી સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ થયો છતાં ચિંતા ન કરી તેનાથી ખુદ તો કોરોનાથી સંક્રમીત થયા જ પણ ભાજપના પણ અનેક નેતાઓ તથા કાર્યકર્તાઓને સંક્રમીત થવા માટેની સ્થિતિ સર્જી તે શા માટે પક્ષ અને સરકારે ચલાવી લીધી તે પ્રશ્ન હવે કાર્યકર્તાઓ પુછી રહ્યા છે.ખાસ કરીને હજુ સેંકડો કાર્યકર્તાએ જે પ્રદેશ પ્રમુખને વધાવવા માટે એકત્ર થયા હતા તેઓ પણ સંક્રમીત થયા હશે તેવો ભય છે.
પાટીલે સૌરાષ્ટ્રમાં જ ચાર દિવસની યાત્રા જે તા.18 ઓગષ્ટથી શરૂ થઈ હતી તે સમયથી જ તેમની રેલીઓ,સભાઓ,સ્વાગત અને કાર્યકર્તાઓ સાથેની બેઠકોમાં કોરોના-સંક્રમણનો ભય નજરે ચડવા લાગ્યો હતો અને તેની વ્યાપક ટીકા થઈ હતી પરંતુ પાટીલે કોઈ નિયમભંગ થતો નથી તેવા જવાબો આપીને તેની ગંભીરતા પારખી ન હતી અને વહીવટીતંત્ર પણ ભાજપના પ્રદેશ પ્રમુખના આ કાનૂન ભંગમાં મુક પ્રેક્ષક બની રહ્યું છે કે છેક ગાંધીનગર સુધી વાત પહોંચાડવામાં આવી પણ ‘સરકાર’ પણ મોન રહી અને ભાજપના ધારાસભ્યો-કાર્યકર્તાઓ સંક્રમીત બન્યા તેની ચિંતા ન કરી.પાટીલ તો પોઝીટીવ બનીને એપોલોમાં સારવાર માટે દાખલ થઈ ગયા.હવે તેઓ અંદાજે એક પખવાડીયાથી વધુ સમય કવોરન્ટાઈન જ રહેશે.ગીર સોમનાથથી કાનૂન ભંગ શરૂ કર્યા અને સોમનાથ,જુનાગઢ,ખોડલધામ,રાજકોટ સુધી તે બિન્દાસ ચાલુ રહ્યો હતો અને હવે એક આક્ષેપ થાય છે કે પાટીલની રેલી બાદ રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં કેસ વધી ગયા હતા.જે આંકડા સાબીત કરે છે અને હવે રાજકોટ- કોરોના સંક્રમણ- મોતમાં રાજયમાં ટોચ પર પહોચવા હરિફાઈ કરે છે.ભાજપના ધારાસભ્યો અને છેક કમલમ સુધી કોરોનાનું સંક્રમણ વધ્યુ છે.
સી.આર. 18 સપ્ટે.ના જ સંક્રમીત થયા હતા: જાહેરાતમાં વિલંબ કરાયો
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલના પુત્ર જીજ્ઞેશ પાટીલે તા.8 સપ્ટે.ના સાંજના 5.48 કલાકે ટવીટ કરી તેમના પિતા કોરોના પોઝીટીવ હોવાની જાણ કરી હતી.પરંતુ ત્યારબાદ ખુદ પાટીલે તેમનો એન્ટીજેન રીપોર્ટ નેગેટીવ હોવાના અને તેઓ સ્વસ્થ હોવાનું જણાવ્યું જયારે ગઈકાલે સાંજે તેઓ સંક્રમીત થયા હોવાનું સતાવાર જાહેર કર્યુ હતું.