સુરત : સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવનાર સી.આર.પાટીલની બદનામી કરતી પત્રિકા કાંડમાં સુમુલ ડેરીના પૂર્વ પ્રમુખ અને હાલના ઉપપ્રમુખ રાજુ પાઠકની સતત બીજા દિવસે પૂછપરછ કરાઈ હતી.ગુરુવારે પાંચ કલાક સરતપાસ બાદ શુક્રવારે સવારે ફરી પાઠક સુરત ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં હાજર થયા હતા,તેમણે તપાસમાં મારો પૂરેપૂરો સહયોગ છે અને રહેશે તેવું કહીને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે, તેવો ખોંખારો પણ ખાધો હતો.
ભારતીય જનતા પાર્ટીના પત્રિકા કાંડમાં શુક્રવારે વધુ એક વખત સુરત જિલ્લા ભાજપનું મોટુ માથું એવા સુમુલ ડેરીના ઉપપ્રમુખ રાજુ પાઠકની સુરત પોલીસની ક્રાઈમ બ્રાંચે પૂછપરછ હાથ ધરી હતી.ગતરોજ ગુરુવારે પાંચ કલાકની પૂછપરછ બાદ ફરી એક વખત રાજુ પાઠક ક્રાઈમ બ્રાંચની ઓફિસે પહોંચતા જ ફરી રાજકીય ગરમાટો તેજ થયો હતો.
પ્રદેશ ભાજપ પ્રમુખ અને સાંસદ સી.આર. પાટીલની બદનામી કરતી પત્રિકા અને પેનડ્રાઇવના કવર રાજ્યભરમાં પોસ્ટથી મોકલવાના કિસ્સામાં ક્રાઈમ બ્રાંચે તપાસ આગળ વધારી છે.અગાઉ આ કેસમાં પકડાયેલા ચાર શખ્સો રાકેશ સોલંકી,દીપુ યાદવ, ખુમાનસિંહ પટેલ અને વિજય રાજપૂતની પૂછપરછ અને તેમના કનેક્શનને જોતા તેઓ પૂર્વ મંત્રી ગણપત વસાવાની સાથે સંકળાયેલા હોવાનું સ્પષ્ટ થઈ ગયું હતું.ગણપત વસાવાનું નામ રેકર્ડ ઉપર નથી આવ્યું પરંતુ પક્ષમાંથી તેમની પાસે માફી નામુ લખાવી લેવાયું હોવાનું કહેવાય છે.આ કિસ્સામાં ગુરુવારે સુરત જિલ્લા ભાજપનું મોટુ માથુ ગણાતા સુમુલ ડેરીના પૂર્વ પ્રમુખ રાજુ પાઠકની લાંબી પૂછપરછ કરાઈ હતી.અલબત્ત, ગઈકાલે પાંચ કલાકની પૂછપરછ બાદ શુક્રવારે વધુ એક વખત રાજુ પાઠક સવારે 11 કલાકે ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં હાજર થયા હતા.ત્રણેક કલાક પોલીસના સવાલોના જવાબ આપીને બહાર નીકળીને તેમણે પત્રકારોને નિવેદન પણ આપ્યું હતું.
મારી કોઈ ભૂમિકા નથી, તપાસમાં બધુ સ્પષ્ટ થઈ જશે : રાજુ પાઠક
બીજા દિવસે પોલીસની પૂછપરછ પૂરી થયા બાદ બહાર આવેલા રાજુ પાઠકે ક્રાઈમ બ્રાંચની બહાર મીડિયાને જણાવ્યું હતું કે, આ સમગ્ર પ્રકરણમાં મારી કોઈપણ પ્રકારની ભૂમિકા નથી.પોલીસને તપાસમાં મારો સંપૂર્ણ સહયોગ છે અને રહેશે.તપાસના અંતે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.
પોલીસના રેકર્ડ ઉપર નહીં પણ પાર્ટીના રેકર્ડ ઉપર નામો આવી ગયા
આ પ્રકરણમાં ગણપત વસાવાની આજુબાજુનું વર્તુળ હોવાનું અત્યાર સુધી પોલીસની તપાસમાં જણાયું છે.રાજુ પાઠક અને ગણપત વસાવા એક સિક્કાની બે બાજુ ગણાવાય છે.એટલે, રાજુ પાઠકને ક્રાઈમ બ્રાંચે સમન્સ આપીને બોલાવાયા તેનો સંકેત ગણપત વસાવાની આસપાસનું નેટવર્ક આ પ્રકરણમાં સક્રિય હોય તેવું માની શકાય તેમ છે.બીજી તરફ પક્ષમાં પણ રાજકીય રાહે ખુલાસા મેળવવાનું ચાલુ છે.ગણપત વસાવાએ પક્ષ પ્રમુખને માફી નામુ લખી આપ્યું હોવાનું કહેવાય છે.એટલું જ નહીં આ કિસ્સામાં જે વિગતો બિનસત્તાવાર રીતે સામે આવી રહી છે તે મુજબ ગણપત વસાવાની સાથે દક્ષિણ ગુજરાતના ત્રણ પૂર્વ મંત્રીઓ અને સુરત સાથે કનેક્શન ધરાવતા સૌરાષ્ટ્રના પૂર્વ મંત્રીઓ સાથે ગણપત વસાવા સાથે ગાંધીનગરમાં એક મિટિંગ થઈ હતી.
એટલે, આવી વિગતો સામે આવ્યા પછી ગણપત વસાવા પાસે નવેસરથી માફીનામુ લખાવી લેવાયું છે અને તેમાં આ આખી પત્રિકા અને પેનડ્રાઇવ પોસ્ટમાં મોકલવાના ઘટનાક્રમનો ઉલ્લેખ કરી આ આખા કાંડમાં જેટલા મોટા માથાઓ સામેલ છે, તે તમામના નામ ભારતીય જનતા પાર્ટીએ રેકર્ડ ઉપર લઈ લીધા છે.એટલે પોલીસની તપાસમાં આવતી વાતોને એક સ્તર સુધી પોલીસના રેકર્ડ ઉપર રાખીને બાકીની વાતોને પાર્ટીના રેકર્ડ ઉપર લઈ લેવાની સમાંતર ગતિવિધી ચાલી રહી હોવાનું કહેવાય છે.