મુંબઈ : ઠગ સુકેશ ચન્દ્રશેખરના મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અભિનેત્રી જેક્વેલિન ફર્નાન્ડિઝને ફરી સમન્સ મોકલવામાં આવતાં તે આજે ઈડી સમક્ષ હાજર થઈ હતી અને અધિકારીઓના સવાલોના જવાબ આપ્યા હતા.
જેક્વેલિન કરોડોના કૌભાંડી સુકેશ સાથે રિલેશનશિપમાં હતી.સુકેશે તેને કરોડો રુપિયાની ભેટસોગાદ પણ આપી હતી.જેલમાંથી ખંડણી અને ઠગાઈનું સુકેશનું રેકેટ બહાર આવ્યા બાદ જેક્વેલિન પણ તપાસ એજન્સીઓના રડાર પર છે.આ કેસમાં અગાઉ પણ તેની પૂછપરછ થઈ ચુકી છે.આ કેસમાં તેને ફરી સમન્સ અપાયા હતા.આથી આજે જેક્વેલિન ઈડી સમક્ષ પોતાનું નિવેદન નોંધાવવા પહોંચી હતી.
આ પહેલાં ઈડી દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ જેક્વેલિનની ૭.૨૭ કરોડ રુપિયની સંપત્તી પણ ટાંચમાં લેવામાં આવી ચુકી છે.આ ઉપરાંત એજન્સી તેની પાસેથી ૧૫ લાખ રુપિયાની રોકડ પણ જપ્ત કરી ચુકી છે.એજન્સીના મતે આ ગુનામાંથી પ્રાપ્ત કરાયેલી રકમ છે.
સુકેશે પોતે ગુનો કરીને મેળવેલા પૈસામાંથી જેક્વેલિનને ૫.૭૧ કરોડ રુપિયાની ભેટસોગાદો આપી હતી.ચન્દ્રશેખરે આ ગુનામાં પોતાની સાગરિત પિન્કી ઈરાની મારફતે જેક્વેલિનને ભેટસોગાદો મોકલી હતી.સુકેશે જેક્વેલિનના પરિવારજનોને એક કરોડ રુપિયાથી વધુનું વિદેશી ચલણ પણ મોકલાવ્યું હતું.ઈડીના જણાવ્યા અનુસાર આ તમામ ગુન્હાઈત પ્રવૃત્તિઓમાંથી મેળવાયેલી રકમનો કેટલોક તાળો મેળવવાનો બાકી છે અને તેથી જેક્વેલિનને નવેસરથી સમન્સ પાઠવવામાં આવ્યા છે.