– સુરત શહેર અને રાજ્યની અંદર ઓક્સિજનની પણ વ્યવસ્થા સરકાર દ્વારા પૂરતી કરવામાં આવી નથીઃ મોઢવાડિયા
સુરત : કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ આજે સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા.ગુજરાતની ઊભી થયેલી પરિસ્થિતિ માટે ભાજપની સરકારને અર્જુન મોઢવાડિયાએ જવાબદાર ઠેરવ્યા હતા.ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે રેમડેસિવિર ઇન્જેક્શનમાં લીંબડ જશ ખાટવાનો પ્રયાસ કર્યો છે.સીઆર પાટીલે ગેરકાયદેસર રીતે રેમડેસિવિર ઇન્જેક્શનોનો જથ્થો ભાજપ કાર્યાલય ઉપર લાવીને પોતે જાણે દાનેશ્વરી કર્ણ હોય તે રીતે લોકોને આપવાનું શરૂ કર્યું હતું.ખરા સુપર સ્પ્રેડરો તો ભાજપના જ નેતાઓ છે.આ સાથે મોતના આંકડા સરકાર છુપાવી રહી છે
કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણને એક વર્ષ જેટલો સમય પસાર થઇ ગયા બાદ પણ હજી સુધી વહિવટી તંત્ર યોગ્ય તૈયારી ન કર્યો હોવાને કારણે લોકોના મોત નિપજ્યા છે.ખૂબ દુખદ બાબત છે કે સુરત શહેરમાં અને રાજ્યની અંદર ઓક્સિજનની પણ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી નથી. લોકો સતત ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે.
સીઆર પાટીલે ગેરકાયદેસર રીતે રેમડેસિવિર ઇન્જેક્શનોનો જથ્થો ભાજપ કાર્યાલય ઉપર લાવીને પોતે જાણે દાનેશ્વરી કર્ણ હોય તે રીતે લોકોને આપવાનું શરૂ કર્યું હતું.સીઆર પાટીલે લોકોની સેવા કરવી હોય તો તેમણે ઇન્જેક્શન જથ્થો લાવીને સિવિલ હોસ્પિટલમાં આપવાની જરૂર હતી.ભાજપના કાર્યકર્તાઓ ભાજપનો ખેસ પહેરી હોસ્પિટલમાં સેવા આપીને જાણે લગ્નના કપડાં પહેરીને સ્મશાનમાં જતાં હોય તેઓ અનુભવ કરાવી રહ્યા છે.તમામ દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર મળવી જોઈએ જે આપવામાં વહીવટી તંત્ર નિષ્ફળ ગયું છે.
હાઇકોર્ટ દ્વારા પણ વારંવાર રાજ્ય સરકારને ફટકારવામાં આવી હતી પરંતુ તેમણે હાઈકોર્ટનું પણ માન રાખ્યું ન હોય તેઓ તેમના વ્યવહાર પરથી હું વ્યક્તિગત રીતે કહી શકું છું.હાઈકોર્ટે આપેલા દિશાનિર્દેશોનું પણ યોગ્ય રીતે સરકાર દ્વારા પાલન કરવામાં આવ્યું નથી જે ખૂબ જ દુઃખદ બાબત છે. ભાજપના નેતાઓ જ સુપર સ્પ્રેડર છે.તેમના કારણે જ રાજ્યભરની અંદર મોટા પ્રમાણમાં કોરોના સંક્રમણ વ્યાપ વધ્યો છે એટલું જ નહીં ભાજપના ઇશારે વહીવટીતંત્ર પણ મોતના આંકડા છુપાવી રહી છે.