રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.ચૂંટણી પછી કોરોનાના કેસ ખૂબ જ વધ્યા છે.જેથી વિપક્ષ સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યું છે.22 માર્ચના રોજ વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યએ રાજ્યમાં કોરોના વધવા પાછળ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નેતાઓએ કરેલી સભા અને રેલીઓને જવાબદાર ગણાવી હતી ત્યારે વધુ એક કોંગ્રેસના ધારાસભ્યએ રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે.
અમદાવાદના દરિયાપુરના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે,અમદાવાદમાં અને રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર જોવા મળી રહી છે.અમદાવાદ શહેરમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં એક લાખ કરતાં પણ વધારે લોકોને એકઠા કર્યા હતા અને તેના પછી કોરોનાની પહેલી લહેર જોવા મળી હતી.ત્યારબાદ દિવાળી પછી બીજી લહેર અને હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં મેચના કારણે હજારો લોકોની ભીડ એકઠી થઇ છે.જેથી હવે ત્રીજી લહેર રાજ્યમાં જોવા મળી રહી છે.રાજ્ય સરકારની ઘોર બેદરકારીના કારણે કોરોનાની ત્રીજે લહેરને આમંત્રણ મળ્યું છે.
ગ્યાસુદ્દીન શેખે વધુમાં કહ્યું હતું કે, અમદાવાદ શહેર કે રાજ્યમાં કોઈ માસ્ક ન પહેરે તો તેની પાસેથી એક હજાર રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવે છે.પણ ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલે કે અમદાવાદ મહાનગરપાલિકાના 160 કોર્પોરેટર ગાંધીનગરના ફાર્મ હાઉસમાં ટિફિન બેઠક કરે છે અને આ કાર્યક્રમમાં એક પણ કોર્પોરેટર માસ્ક પહેરતા નથી.છતા તેમને દંડ કરવામાં આવતો નથી.અમદાવાદ શહેરમાં ગરીબ ફેરિયાઓ અને મધ્યમ વર્ગના વેપારીઓને તંત્ર સુપર સ્પ્રેડર્સ ગણે છે અને તેમના ટેસ્ટ કરે છે પરંતુ અમદાવાદ સહિત રાજ્યના ખૂણેખૂણે સુધી કોરોના સંક્રમણ ફેલાવવા બદલ ભાજપના નેતાઓ જવાબદાર છે એટલે સુપર સ્પ્રેડર્સ બનેલા ભાજપના નેતાઓનો કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પછી કોરોનાનું સંક્રમણ વધ્યું છે.રાજ્ય સરકાર માનવા તૈયાર નથી.બે દિવસ પહેલા જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું હતું કે,ચૂંટણીના કારણે અથવા તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મેચના કારણે કોરોનાનું સંક્રમણ વધ્યું હોત તો તે માત્ર અમદાવાદમાં જ વધ્યું હોત પરંતુ આખા ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે અને દેશમાં પણ કોરોના વધી રહ્યો છે.આ ઉપરાંત જે જગ્યા પર ચૂંટણી નહોતી ત્યાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે.સરકાર માનવા તૈયાર નથી અને વિપક્ષના ધારાસભ્ય સ્પષ્ટપણે ચૂંટણી સભાઓ અને રેલીઓના કારણ કોરોનાનું સંક્રમણ વધ્યુ હોવાનો સ્વીકાર કરી રહ્યા છે.