નવી દિલ્હી તા.26 : અદાલતોના કામકાજ વ્યવસ્થિત કરવા ટેક સોલ્યુશન અને આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સ જેવા માધ્યમો સાથે પ્રયોગ કરી રહેલી સુપ્રીમ કોર્ટે તેની તમામ 17 બેંચોને પેપરલેસ બનાવવા એસસીઆઈ-ઈન્ટરએકટ નામનું સોફટવેર બનાવ્યું છે.સર્વોચ્ચ અદાલતની ઈ-કમીટીના ચેરમેન અને જજ જસ્ટીસ ડી.વાય.ચંદ્રચૂડે જણાવ્યું હતું કે સોફટવેરની મદદથી ન્યાયાધીશો અન્યોના હાથમાં ન આવે એ રીતે ફાઈલ,પીટીશનો સાથે જોડાયેલી પુરવણીઓ-બીડાણ એકસેસ કરી કોમ્પ્યુટર પર જ સોફટ-નોટ કરી શકશે.તેમણે જણાવ્યું હતું કે જજોને ટેબ્લેટ આપવામાં આવ્યા છે,અને સોફટવેર અપગ્રેડ થઈ રહ્યા છે.જાણવા મળ્યા પ્રમાણે સર્વોચ્ચ અદાલતના કોમ્પ્યુટર એકમે આંતરિક રીતે આ સોફટવેર બનાવ્યું છે. આ સોફટવેરના પાંચ ભાગ છે. પેન્ડીંગ કેસોની સ્કેન કરાયેલી નકલો,નવા કેસોના ઈ-ફાઈલીંગ,આઈટી હાર્ડવેર,ડયુઅલ રિડનડન્સી સાથે એમપીએસએસ નેટવર્ક અને સિકયુરીટી ઓડીટ એમાં સામેલ છે.કોર્ટના ઈ-કમીટીના સભ્ય અને આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ કમીટીના સંયોજક એસ.એસ. રાઠીએ જણાવ્યું હતું કે એક વખત સિકયુરીટી ટેસ્ટીંગ થઈ જાય એ પછી પ્રોજેકટનો અમલ કરાશે.