સુરત : સુરત શહેરના અડાજણ વિસ્તારમાં જ્વેલરી ડિઝાઇનર ઘરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. 33 વર્ષીય જ્યોતિબેન 4વર્ષથી એકલા જ રહેતા હોવાથી બહાર આવ્યું છે.લગભગ ત્રણ દિવસ જૂનો મૃતદેહ હોવાથી પાડોશીઓને ફ્લેટમાંથી દુર્ગંધ આવતા પોલીસ અને ફાયરની મદદથી દરવાજો તોડી પ્રવેશ કરતા બેડરૂમમાંથી જ્યોતિબેન પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યા હતા.
ફાયર વિભાગે જણાવ્યું હતું કે પોલીસ કંટ્રોલમાંથી ફોન આવ્યા બાદ ફાયરની ટીમ ઘટના સ્થળે ગઈ હતી.અડાજણ જલારામ બાપાના મંદિરની પાસે રિદ્ધિ રેસિડેન્સીના ફ્લેટ નંબર 305માં દરવાજો તોડી પ્રવેશ કર્યો હતો.બેડરૂમમાં એક મહિલા દુપટ્ટાને પંખા સાથે બાંધી લટકતી હાલતમાં મળી આવી હતી.
વધુમાં જણાવ્યું હતું કે પાડોશીએ મહિલાનું નામ જ્યોતિબેન ગોપાલદાસ જણાવ્યું હતું.અડાજણ પોલીસને મૃતદેહ હેડ ઓવર કરી ફાયર નીકળી ગયું હતું. લગભગ ત્રણ દિવસ જૂનો મૃતદેહ હોવાથી ખૂબ જ દુર્ગંધ મારતી હતી.પોલીસે જણાવ્યું હતું કે, જ્યોતિબેનના લગ્ન લગભગ 2005માં થયા હોવાનું અને 2017માં છૂટાછેડા થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.પતિથી અલગ થયા બાદ જ્યોતિબેન જ્વેલરી ડિઝાઇનનું કામ કરતા હતા.પાડોશીઓનું કહેવું છે કે જ્યોતિબેન નિઃસંતાન હતા.જ્યોતિબેનના આપઘાતને લઈ એમના પૂર્વ પતિને જાણ કરી આગળની તપાસ હાથ ધરી છે.


