રાજ્યમાં કોરોનાનું સંકટ સતત વધી રહ્યું છે ત્યારે હવે ઓક્સિજનની પણ અછત રાજ્યમાં વર્તાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે, ઓક્સિજનની માગમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરતની કેટલીક હોસ્પિટલોમાં પણ ઓક્સિજનનો જથ્થો ખૂટી પડશે તેવી ભીતિ ડૉક્ટરો સેવી રહ્યા છે.ડૉક્ટરો અને હોસ્પિટલ સંચાલકો તંત્ર સામે માગણી કરી રહ્યા છે કે, ઓક્સિજન કંપનીઓ દ્વારા પૂરતા પ્રમાણમાં ઓક્સિજન આપવામાં આવે અને ઓક્સિજન કંપનીઓ ઓક્સિજનનો જથ્થો મહારાષ્ટ્રમાં અને મધ્યપ્રદેશમાં મોકલતી હોવાનો દાવો પણ હોસ્પિટલ સંચાલકો દ્વારા કરવામાં આવ્યો છે.એટલે ગુજરાતમાં જે ઓક્સિજન કંપનીઓ છે તે કંપનીઓ ગુજરાતને જ જથ્થો પૂરો પાડે તેવી માગણી સુરતના હોસ્પિટલ સંચાલકો દ્વારા કરવામાં આવી રહી છે.
ડૉક્ટર હીરલ શાહે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હું ઇન્ડિયન મેડીકલ એસોસિએશન સુરતનો પ્રમુખ છું.અમે બધા ડૉક્ટરો આજે ભેગા થઇને કલેકટર સાહેબને મળ્યા હતા અને અમારી ખાસ રજૂઆત એ હતી કે, શહેરમાં ઓક્સિજનનો જથ્થો ખૂટવા લાગ્યો છે. આ સપ્લાયની અંદર પણ આગામી દિવસોમાં કાપ મૂકવાની વાત સામે આવી રહી છે.જો આ પરિસ્થિતિ કંટીન્યુ રહેશે તો શહેરની ઘણી હોસ્પિટલોમાં છથી આઠ કલાક ઓક્સિજન ચાલે તેટલી જ વ્યવસ્થા છે.એટલે દર્દીઓના જીવ જોખમમાં મુકાઈ શકે છે તેવી હાલત અત્યારે છે.આ બાબતની જાણ અને કલેકટર સાહેબને કરી છે અને અમે ઉગ્ર રજૂઆત કરી છે કે, કોઈ પણ સંજોગોમાં સુરત શહેરને પૂરતા પ્રમાણમાં ઓક્સિજનની સપ્લાય આપવામાં આવે નહીં તો પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની જશે અને પણ લો એન્ડ ઓર્ડરનાની પરિસ્થિતિ પણ ખરાબ થઈ શકે છે.
ડૉક્ટર નિર્મલ ચોરડીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા સવા વર્ષથી આપણે કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યા છીએ અને પબ્લિક અને પ્રાઇવેટ સિસ્ટમથી લોકલતંત્ર સાથે મળીને આપણે કામગીરી કરી રહ્યા છીએ.અત્યાર સુધી સુરતના નાગરિકોને સારામાં સારી સારવાર આપવાની કોસીસ કરવામાં આવી છે.સિવિલ હોસ્પિટલમાં સારવાર થાય,સ્મીમેર હોસ્પિટલમાં સારવાર થાય કે, પછી ખાનગી હોસ્પિટલમાં સારવાર થાય એક પણ વાતનો ભેદભાવ કર્યો નથી.દરેક જગ્યા પર બધા હેલ્થ વર્કર સારામાં સારી મહેનત કરી રહ્યા છે.ઓક્સિજનની અછત સામે આવવાનું કારણ એ છે કે, આ બીજી વેવમાં દર્દીની સંખ્યા વધી છે.પહેલી લહેરમાં જેટલા કેસ હતા તેની કરતા અત્યારે દસ ગણા કેસ વધી ગયા છે.આ વખતે લોકોને સિરિયસ રૂપમાં ન્યુમોનિયા થઇ રહ્યો છે. પહેલા છઠ્ઠા કે, સાતમા દિવસે દર્દી ગંભીર થતા હતા પરંતુ હવે તે ત્રીજા કે ચોથા દિવસે જ થાય છે.આ વાયરસની અસર 25 વર્ષથી લઈને 45 વર્ષના લોકોમાં વધારે જોવા મળી છે. એના જ કારણે ઓક્સિજનની રિક્વાયરમેન્ટ ખૂબ જ વધી છે.
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, અત્યારે ચાર હજાર દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.કાલે રાત્રે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે, ઘણી હોસ્પિટલોમાંથી 12 કલાક સુધી ઓક્સિજન મળે તેવી પરિસ્થિતિ હતી.અમે છેલ્લા પાંચ દિવસથી અમારી તમામ રજૂઆત લોકલ ઓથોરિટીને કરી છે.પણ અત્યારે અમને એવું દેખાય છે કે, લોકલ ઓથોરિટી પાસે પણ આનો જવાબ નથી.એટલે નાછૂટકે અમારે સવા વર્ષમાં પહેલીવાર મીડિયા પાસે આવવું પડ્યું છે.અને લોકોને આ વાત ખબર પડે કે, તાત્કાલિક અસરથી ઓક્સિજનની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો ઘણાનો જીવ જોખમમાં છે.કારણે લો એન્ડ ઓર્ડરના સિચ્યુએશન ઊભી થશે. અમારો અવાજ મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી સુધી પહોંચે એટલા માટે અમે વિનંતી કરીએ છીએ કે, આ વસ્તુને મીડિયામાં પ્રકાશિત કરો આપણી પાસે સમય નથી. એક્શન લેવાનું છે તે ઝડપથી લેવો પડશે.અમે અત્યારે દર્દીઓને સાચવી રહ્યા છે પરંતુ એ વાત અમે કહી નથી કે, જેનાથી પેનિક ઉભું થાય.અમે દર્દીને સારવાર આપી શકીએ પરંતુ દવા અને ઓક્સિજન ક્યાંથી આપવું તે સરકાર કરી શકે.અત્યારે અમારા અનુમાન અનુસાર સુરતની બધી હોસ્પિટલમાં બારથી ચોવીસ કલાક જેટલો જ ઓક્સિજન છે.પરંતુ ઘણી હોસ્પિટલો પાસે માત્ર પાંચથી છ કલાકનો ઓક્સિજન છે.