સુરત : કતારગામમાં રેલવે ટ્રેક પાસે નેપાળી યુવકની ક્રૂર હત્યા હમવતની મિત્રએ જ કરી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે.જોકે, હત્યા પાછળ સજાતીય સંબંધ હોવાનો ખુલાસો થયોછે.આરોપીના મોબાઇલમાંથી મળેલા વિડીયોના આધારે આરોપી ગે હોવાની આશંકા છે તેમજ સજાતીય સંબંધ બાંધવાનો મૃતકે ઇન્કાર કરતા યુવકે તેને પતાવી દીધો હોવાનો આરોપીએ પોલીસ સમક્ષ ખુલાસો કર્યો છે.
મળતી વિગતો પ્રમાણે ગત શુક્રવારે રાત્રે કતારગામમાં નિર્મલ ઇન્ડસ્ટ્રીઝની પાછળ રેલવે ટ્રેક પાસે આવેલા ખુલ્લા પ્લોટમાંથી એક યુવકની લાશ મળી આવી હતી.યુવકના ગળા તથા જમણા પગના ઘૂંટણના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મરાયા હોય હત્યાનો ગુનો દાખલ કરાયો હતો.પોલીસ તપાસમાં મૃતકની ઓળખ અર્જુન સૂરજ વિશ્વકર્મા તરીકે થઇ હતી. 22 વર્ષીય અર્જુન મૂળ નેપાળનો વતની હતો.
કતારગામ પોલીસને આ હત્યા કેસમાં અર્જુનના નેપાળી મિત્રની હિલચાલ શંકાસ્પદ જણાઇ હતી.આખરે વિવિધ પુરાવાના આધારે આ મિત્ર જ હત્યારો નીકળ્યો હતો.પોલીસે માનુ ઉર્ફે માનબહાદુર ઉર્ફે રમેશ ખડકબહાદુર રાવલ (ઉ.વ.22, મુળ નેપાળ) ગજેરા સર્કલ પાસે આવેલી જનતાનગર ઝૂપડપટ્ટીમાં રહે છે.પોલીસે ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ ચેક કરતા માનુ મૃતક અર્જુનની પાછળ દોડતો દેખાયો હતો તેમજ હત્યાના દોઢેક કલાક બાદ તેને 108ને કોલ કર્યો હતો.માનુએ 108ને રાહુલ તરીકે ખોટી ઓળખ આપી હતી.એક દુકાનદારે પણ બંને વચ્ચે થયેલો ઝઘડો પણ જોયો હતો.
આરોપી પોલીસને ગોળ ગોળ ફેરવી રહ્યો હતો.બાદમાં આરોપીએ હત્યાનો ગુનો કબૂલ્યો હતો.પ્રાથમિક તપાસમાં જૂની અદાવત કે દારૂનો ઝઘડો લાગતો હતો પણ આરોપી માનબહાદુરના મોબાઇલમાંથી સજાતીય સંબંધોવાળા અશ્લીલ વીડિયો પોલીસને મળી આવ્યો હતો.જેથી માનબહાદુર ગે હોવાની પોલીસને આશંકા હતી. સજાતીય સંબંધ બાંધવાનો મૃતકે ઇન્કાર કરતા થયેલી ઝપાઝપી બાદ માનબહાદુરે હત્યા કરી દીધી હોવાનો ખુલાસો થયો છે.માનબહાદુર કરાટે અને માર્શલ આર્ટનો અચ્છો જાણકાર છે.