ગુજરાત ATSએ અશરફ નાગોરીની મહારાષ્ટ્રથી ધરપકડ કરી લીધી છે.અશરફ નાગોરી સુરતના ફાયરિંગ અને ગુજસીટોકના ગુનામાં વોન્ટેડ હતો.અગાઉ હરેન પંડ્યા હત્યા કેસમાં પણ તેની સંડોવણી હતી.ગત જાન્યુઆરી મહિનામાં અશરફ નાગોરી ગેંગ સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો હતો અને તેના બે સાગરિતની ધરપકડ કરવામાં આવી હતી.
મહારાષ્ટ્રના નવાપુરથી નોગારી ઝડપાયો
ઘણા ગુનાઓમાં સંડોવાયેલો રામપુરાનો કુખ્યાત અશરફ નાગોરી અને તેની ગેંગ વિરુદ્ધ પોલીસે ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરેરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઈમ( ગુજસીટોક) મુજબ ગુનો દાખલ કર્યો હતો. તેના બે સાગરિતોને ઝડપી પાડ્યા હતા.અશરફ નાગોરી છેલ્લા 9 મહિનાથી ફરાર હતો. અશરફ અને તેના સાગરિતો સામે 25થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયા છે. છેલ્લે તેની સામે ફાયરિંગનો ગુનો દાખલ થયો હતો.સુરતથી નાસીને નાગોરી પશ્ચિમ બંગાળ ખાતે ખોટા નામે રહતો હતો અને ત્યાથી બે-ત્રણ માસ બાદ મહારાષ્ટ્ર ખાતેના નવાપુર નાસી ગયો હતો.આમ છેલ્લા 9 મહિનાથી નાસતો ફરતો હતો. જેની તપાસ કરતા એટીએસને બાતમી મળી હતી કે, આ આરોપી મોહમ્મદ અશરફ નાગોરી હાલ મહારાષ્ટ્રના નવાપુરમાં હાજર છે.જેથી એટીએસ ગુજરાતની ટીમને બાતમીવાળી જગ્યાએ રવાના કરવામાં આવેલ હતી.જ્યાં એટીએસની ટીમે ટેક્નિકલ તથા હ્યુમન સવેલન્સ આધારે સફળ ઓપરેશન પાર પાડી આરોપી મોહમ્મદ અશરફ નાગોરીને પકડી પાડ્યો છે.
પોલીસે અગાઉ નાગોરીના બે સાગરિતની ધરપકડ કરી હતી
ઓર્ગનાઈઝ ક્રાઈમ સિન્ડિકેટ થકી વારંવાર ગુના કરી લોકોમાં ભયનો માહોલ પેદા કરનાર તત્વો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરીને જેલમાં ધકેલાય રહ્યા છે. ગત જાન્યુઆરી મહિનામાં લાલગેટ પોલીસે અશરફ નાગોરી ગેંગના સાગરિતોની અપરાધિક પ્રવૃતિનો રિપોર્ટ પોલીસ કમિશનરને સોંપ્યો હતો. પોલીસ કમિશનરે આરોપી અશરફ નાગોરી,સમદ મલબારી,પખાલીવાડનો વસીમ કુરેશી,યુસુફ કુરેશી વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવા આદેશ આપ્યો હતો.લાલગેટ પોલીસે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.પોલીસે વસીમ અને યુસુફની ધરપકડ કરી છે.અશરફ ગેંગ લાલગેટ,અઠવા,ચોકબજાર,મહીધરપુરા,સલાબતપુરા,રાંદેર અને સૈયદપુરા વિસ્તારમાં સક્રિય છે.
ભૂતપૂર્વ ગૃહમંત્રીની હત્યામાં નામ ઉછળ્યું હતું
અશરફ નાગોરી વિરુદ્ધ હથિયાર, હત્યાની કોશિશ,ખંડણી,જમીન પચાવી પાડવા સહિતના ઘણા ગુના નોંધાયા છે. 2002માં ભાજપના નેતા અને એડવોકેટ હસમુખ લાલવાળા પર ફાયરિંગ કરીને તેમની હત્યાની કોશિશમાં ઝડપાયો હતો.ભૂતપૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યામાં પણ તેનું નામ હતું,કોર્ટે તેને મુક્ત કર્યો હતો.અશરફ સાગરિતો સાથે 2012માં રાંદેરમાંથી 11 હથિયારો સાથે ઝડપાયો હતો.તેણે કોમી તોફાન ફેલાવવા હથિયારો મંગાવ્યા હતા.સલાબતપુરામાં વેપારી સાથે મારામારીના તેમજ તેના વિરુદ્ધ લાલગેટ વિસ્તારમાં ફાયરિંગનો ગુનો નોંધાયો હતો.સમદ મલબારીના વિરુદ્ધ પણ ગેરકાયદેસરના હથિયારનો ગુનો તેમજ અન્ય ગુનાઓ નોંધાયા હતા.તેના સાગરિતો વિરુદ્ધ મારામારી તેમજ ધાક-ધમકીના ઘણા ગુના નોંધાયા છે.