– દુર્ઘટનાને પગલે ચાર ફાયર સ્ટેશનની 10 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી
સુરત : સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા અબ્રામા નજીક સિલ્વાસા પેરેડાઈઝ નામની નવનિર્મિત બિલ્ડીંગના અંડર ગ્રાઉન્ડ પાર્કિંગમાં ખોદકામ થઈ રહ્યું હતું.આ દરમિયાન માટી ધસી પડતાં આઠ જેટલા શ્રમિકો દબાયા હતાં.નવનિર્મિત એપાર્ટમેન્ટના અંડર ગ્રાઉન્ડ ખોદકામ દરમિયાન સિમેન્ટની દિવાલ બનાવવા માટેનું કામ ચાલતું હતું.ત્યારે બનેલો સ્લેબ પડતા 20 ફૂટ નીચે શ્રમિકો દટાયાં હતાં. જેથી તાત્કાલિક ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી રહી છે.ચાર ફાયર સ્ટેશનની દસથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે.જેમાં બે વ્યક્તિને બહાર કઢાયા છે જ્યારે બે શ્રમિકનાં મોત થયાં છે.
દુર્ઘટનાની જાણ થતાં આસપાસમાંથી લોકો દોડી આવ્યાં હતાં.બીજી તરફ કતારગામ,કોસાડ,મોટા વરાછા,કાપોદ્રા ફાયરના અધિકારીઓ અને જવાનો ઘટના સ્થળે રેસ્ક્યૂ કામગીરી કરી રહ્યાં છે.લોકોની ભીડ ઉમટી પડતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દબાયેલા વ્યક્તિઓને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
વિપુલ કંથારીયા (ફાયરને જાણ કરનાર)એ જણાવ્યું હતું કે, 2-4 મજૂરો દોડીને ચેક પોસ્ટ પર આવ્યા અને માટી ધસી પડી એના ઉપર સિમેન્ટનો સ્લેબ પડતા 20 ફૂટ ઉડા ખાડામાં મજૂરો દબાયા હોવાની હકીકત કહેતા ફાયર અને પોલીસને જાણ કરી હતી.ઘટના બાદ ચાર ફાયર સ્ટેશનની 10 ગાડીઓ દબાયેલા મજૂરોને બહાર કાઢવાની કોશિશ કરી રહી છે. ઘટના ને જોવા 400-500 નું ટોળું ભેગું થઈ જતા પોલીસ ગોઠવી દેવાયો હોવાનું જાણવા મળ્યું છે.
કન્સ્ટ્રકશન સાઈટ ઉપર ઘણી બેદરકારી હોવાનું જણાઈ આવ્યું છે.કામ કરતા મજૂરો દિવાલના લગાવેલી માટે સાથે ધસી જવાથી નીચે દબાયા હતા.ભીની માટી હોવાથી તેમને બહાર કાઢવાની કામગીરીમાં પણ વિલંબ થઈ રહ્યો છે.ફાયર વિભાગની ટીમ દ્વારા ઘટના સ્થળ પર પહોંચીને કાટમાળ નીચે દબાયેલા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે.કાટમાળ નીચે કેટલા શ્રમિકો દબાયા હશે તેની સત્તાવાર રીતે ફાયર વિભાગ દ્વારા પણ કોઈ માહિતી આપવામાં આવી નથી.જોકે હાલ જે ભાગમાં દિવાલ છે ત્યાં આગળ રેસ્ક્યૂની કામગીરી કરવામાં ફાયર વિભાગની ટીમ જોડાઈ છે.