સુરત શહેરમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થઈ રહ્યો છે. તેમ છતાં ધન્વંતરી રથ દ્વારા લોકોના ટેસ્ટ કરવાનું શરૂ જ છે.મોટા પ્રમાણમાં થતાં ટેસ્ટ અંગે અગાઉ પર ધન્વંતરી રથ દ્વારા ગોબાચારી થતી હોવાના આક્ષેપ થયા છે ત્યારે આજે ફરીથી મોટા વરાછામાં ધન્વંતરી રથ દ્વારા ટેસ્ટ કર્યા વગર જ કોરોના રિપોર્ટ મહિલાને નામે આપી દીધો હોવાના આક્ષેપ થયા છે.આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા સુદામા ચોક ખાતે આવેલી સાંઈ શ્રધ્ધા રેસિડેન્સીમાં રથ પર જઈને તપાસ કરવામાં આવી હોય છે.જેમાં મહિલાને ફોન કરીને પૂછવામાં આવતાં મહિલાએ કહ્યું કે,મેં કોઈ ટેસ્ટ કરાવ્યો નથી અને મારો કોઈ રિપોર્ટ આવ્યો નથી.જેથી આપના કાર્યકરો દ્વારા ટેસ્ટિંગના નામે ભ્રષ્ટાચાર ચલાવાતાના આક્ષેપ કર્યા છે.માત્ર ટાર્ગેટ માટે થઈને કિટનો નાશ કરાતો હોવાના પણ આક્ષેપ થયા છે.હોબાળો થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હોય છે.
ભ્રષ્ટાચારના પૂરાવા સામે આવ્યા-આપ
આમ આદમી પાર્ટીના તુષાર મેપાણીએ કહ્યું કે,અમે મોટા વરાછામાં ધન્વંતરી રથ દ્વારા ચાલતી ગોબાચારીની ફરિયાદ બાદ જાત તપાસ કરી હતી.જેમાં રિપોર્ટ અપાયા હોવાના કાગળ પણ સામે હતાં.તે રિપોર્ટ પર લખેલા ફોન પર અમે ફોન કરીને હકીકત તપાસી હતી. મહિલાના નંબર પર ફોન કર્યો ત્યારે તેણીએ કહ્યું કે, મેં કોઈ ધન્વંતરી રથ પર રિપોર્ટ કરાવ્યો નથી.મને કશી જ ખબર નથી. બાદમાં અમે ધન્વંતરી રથ પર ચાલતાં કૌભાંડને ઉજાગર કરવા પ્રયાસ કર્યો છે.
ધન્વંતરી રથના સ્ટાફે કહ્યું કામમાં વિક્ષેપ કર્યો
ધન્વંતરી રથ પર હાજર સ્ટાફએ કહ્યું કે,અમે ટેસ્ટિંગ કરીને રિપોર્ટ તૈયાર કર્યા હતાં. આપના લોકો આવી ગયા અને રિપોર્ટ લઈ લીધા બાદ ફોન નંબર પર ફોન કરવા લાગ્યા..અમારા કામમાં પણ વિક્ષેપ ઉભો કર્યો હતો.અમે આટલા સમયથી જીવ જોખમમાં મૂકીને કામ કરીએ છીએ અને આરોપ મૂક્યા છે તે તદ્દન ખોટા છે.
મેં રિપોર્ટ નથી કરાવ્યો-ચંદ્રીકાબેન
ચંદ્રીકાબેન ત્રાપસિયાએ કહ્યું કે,અમે અહિં જ રહિએ છીએ. અમારો કોઈએ રિપોર્ટ કર્યો નથી.છતાં આ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે એ જાણીને આશ્ચર્ય થયું છે.અમારી સોસાયટીમાં આ વાન આવેલી પણ મને કંઈ ન થયું હોવાથી ગઈ નથી.છતાં મારા નામના કાગળ આવ્યાં એ જાણીને નવાઈ લાગી